યાત્રાધામ પાલિતાણા શેત્રુંજય પર્વત પર સાવજોની અવરજવર ઉપર નજર રખાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગથી
વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા વિચારણાં ઃ યાત્રાળુઓએ સૂર્યોદય બાદ યાત્રા શરૃ કરવી, સૂર્યાસ્ત પહેલા યાત્રા પૂર્ણ કરવી હિતાવહ
ભાવનગર - પવિત્ર યાત્રાધામ પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત ઉપર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રાખવાનો નિર્ણય લેવાયો છે.
શેત્રુંજય પર્વત ઉપર છેલ્લા થોડા સમયથી સાવજોની અવરજવર જોવા મળી રહી છે. જેથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં દર વર્ષે આવતા લાખો યાત્રાળુઓને સિંહ અને અન્ય વન્ય જીવોથી સુરક્ષિત કરવા માટે ચર્ચા-વિચારણાં કરી ડ્રોન ટેકનોલોજી દ્વારા રાતઅદિવસ સતત નિરીક્ષણ, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટ કેમ કેબિન અને સતત ટ્રેકિંગ-સ્કેનિંગથી સિંહોની અવરજવર ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવા નિર્ણય લેવાયો છે.
તદ્દુપરાંત આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા પણ વિચારણાં કરાશે. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરાશે. યાત્રા માર્ગનું સમારકામ કરાશે. આ તમામ વ્યવસ્થા-સુવિધાઓ આગામી સમયમાં સુનિશ્ચિત કરવા મંત્રીએ વન વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે.
વધુમાં છેલ્લા એક વર્ષમાં શેત્રુંજય પર્વત ઉપર વિહરતા સિંહોનું પુનઃઅવલોકન-વિશ્લેષણ કરાયું છે. સિંહની પ્રકૃતિ મુજબ કોઈ દિવસ સામેથી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી, તેને રંજાડવાથી જ તે હુમલો કરે છે. વન્ય પ્રાણીઓના હિતમાં અને સુરક્ષાના કારણોસર યાત્રાળુઓએ સૂર્યોદય પછી યાત્રા શરૃ કરવી અને સૂર્યાસ્ત પહેલા પોતાની યાત્રા પૂર્ણ કરવી હિતાવહ છે. આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાનોએ યાત્રાળુઓને શિસ્ત અને શાંતિથી યાત્રા પૂર્ણ કરવા આગ્રહ કરતા હોવાનું જણાવ્યું હતું.









