ભાવનગરમાં એનાલોગ પનીરના મામલે વધુ ૧૩ રેસ્ટોરન્ટમાં તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાપાલિકાના ફૂડ વિભાગની બે દિવસમાં ૧૯ રેસ્ટોરન્ટ-કેફેમાં તપાસ કરી
બે દિવસમાં એક પણ જગ્યાએ એનાલોગ પનીર ન મળ્યું ઃ એનાલોગ પનીર પર સરકારે પ્રતિબંધ મુકયા બાદ કાર્યવાહીનો ધમધમાટ
ભાવનગર - એનાલોગ પનીર આરોગ્ય માટે નુકશાનકર્તા હોવાથી સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકયો છે તેથી એનાલોગ પનીરના મામલે છેલ્લા બે દિવસથી ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગે આજે શુક્રવારે પણ કેટલાક રેસ્ટોરન્ટ-કેફેમાં તપાસ કરી હતી પણ એનાલોગ પનીર મળ્યુ ન હતું.
સરકારે એનાલોગ પનીર પ્રતિબંધ મુકયો છે તેથી ગાંધીનગર ફૂડ વિભાગની વડી કચેરીની સૂચના અનુસાર ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એનાલોગ પનીરના મામલે ગત ગુરૃવારે તપાસ હાથ ધરી હતી અને હિમાલીયા મોલમાં આવેલ ૬ રેસ્ટોરન્ટ-કેફેમાં તપાસ કરી હતી પણ એનાલોગ પનીર મળ્યુ ન હતું. આજે શુક્રવારે સતત બીજા દિવસે હિમાલીયા મોલ તેમજ તેની નજીક આવેલ વધુ ૧૩ રેસ્ટોરન્ટ-કેફેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જો કે બીજા દિવસે પણ એક પણ રેસ્ટોરન્ટ-કેફેમાંથી એનાલોગ પનીર મળ્યુ ન હતુ તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનુ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. બે દિવસમાં ૧૯ રેસ્ટોરન્ટ-કેફેમાં તપાસ કરવામાં આવી હતી.
એનાલોગ પનીરના મામલે આગામી દિવસોમાં પણ અન્ય સ્થળે તપાસ કરવામાં આવશે. મહાપાલિકાના ફૂડ વિભાગે એનાલોગ પનીરના મામલે તપાસ હાથ ધરી છે ત્યારે એનાલોગ પનીરના ઉત્પાદક અને વેચાણકર્તાઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.









