Bhavnagar

સિહોરમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
સિહોર શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. 1 માસથી કચરો ન ઉપડાતા દરેક વોર્ડમાં ઉકરડાના ઢગ થયા છે. ઉભરાતી ગટરોના કારણે લોકો ઘરના બારી-બારણાં બંધ રાખવા મજબૂર બન્યા છે. માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની દહેશત સેવાઈ રહી છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોરમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાનો ભય

એક માસ સુધી કચરો ઉપાડવામાં આવતો ન હોવાનો કકળાટ

ઉભરાતી ગટરોના કારણે લોકો ઘરના બારી-બારણાં બંધ રાખવા મજબૂર, ન.પા. તંત્રની ઘોરબેદરકારી સામે રોષ

સિહોર -  છોટેકાશી ગણાતા સિહોર શહેરમાં નગરપાલિકા તંત્રના પાપે સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.

સિહોર ન.પા.ના સેનીટેશન વિભાગ દ્વારા નિયમિત સફાઈ કરાતી ન હોવાથી દરેક વોર્ડ, ખાંચા-ગલ્લી, મહોલ્લા અને જાહેર સ્થળો પર ઉકરડાના ઢગ લાગી ગયા છે. એક માસ સુધી કચરો ઉપાડવામાં આવતો ન હોવાથી માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતો જઈ રહ્યો છે. આ ઉપરાંત મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારોમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બન્યો છે. ગંદકી અને રસ્તા પર વહેતા ગંદા પાણીના કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, મેલેરિયા, શ્વેતકણો વધી જવાથી ડેગન્યુ જેવા રોગ, હાથ-પગનો દુઃખાવો, પેટના રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. તેમજ ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ મારતી હોય, રાહદારીઓને મોં પર રૃમાલ બાંધવાની ફરજ પડે છે. લોકોને ઘરના બારી-બારણાં ફરજીયાત બંધ રાખ વા પડે છે. આટલી હદે ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં સેનીટેશન વિભાગના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. સત્તાધીશો પણ મૌન સેવીને બેઠા હોય, સ્વચ્છતા અભિયાનના નામે માત્ર ફોટા પડાવવામાં રચ્યા પચ્યા રહેતા હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ બાબતે જવાબદાર અધિકારી સામે પગલા ભરવામાં આવે તેમજ નિયમિત સફાઈ કામગીરી થાય તેવી માંગણી પ્રબળ બની છે.