Bhavnagar

ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની ધરપકડ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેથી કુલ આંકડો 27 થયો છે. મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડી પણ ઝડપાયો છે. 13 લોકોના મોત થયા છે. SMC સપ્લાય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વધુ ધરપકડની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની ધરપકડ

Bhavnagar Fake Liquor Case: ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો દાયરો વ્યાપક બનાવી વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નવી કાર્યવાહી બાદ આ કેસમાં SMC દ્વારા ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. તપાસ દરમિયાન મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

સપ્લાય નેટવર્ક ફગાવવા સઘન પૂછપરછ

લઠ્ઠાકાંડની મૂળ કડી અને સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે SMC વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. મધ્ય પ્રદેશથી નકલી દારૂ બનાવવાનું રો-મટીરિયલ પૂરું પાડનાર આનંદ છાડીની ભૂમિકા અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે. તપાસ એજન્સી દ્વારા તેના નેટવર્ક, અન્ય સહ-આરોપીઓ અને માલ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ છે.

ઝડપાયેલા મુખ્ય સપ્લાયર આનંદ છાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 12 આરોપીઓને પણ બપોર બાદ રિમાન્ડ મેળવવાની અર્જી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ કાંડ સાથે જોડાયેલી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, વધુ ધરપકડની શક્યતા

ઉલ્લેખનીય છે કે, આ લઠ્ઠાકાંડમાં મિથેનોલ યુક્ત નકલી દારૂના સેવનથી અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાંથી દુર્ભાગ્યવશ 13 લોકોના મોત નીપજ્યા હતા. SMC દ્વારા સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને પગલે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી.

દારૂમાં મિથેનોલ એટલે ઝેર

દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે. મિથેનોલ શરીરમાં ગયા પછી એવા ઝેરી પદાર્થમાં પરિવર્તિત થાય છે જે ખાસ કરીને આંખ, મગજને ગંભીર રીતે અસર કરી શકે છે. પરિણામે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કોમા અને મૃત્યુ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. 2022ના બોટાદ-ધંધુકા વિસ્તારમાં બનેલી ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક લઠ્ઠા કાંડની ઘટનાઓમાંની એક બની. જેમાં લોકોને દારૂ હોવાનું માનીને પીવડાવવામાં આવેલા પ્રવાહીમાં 98.71થી 98.99 ટકા સુધી મિથેનોલ હોવાનું સામે આવ્યું હતું.