ભરૂચના દેત્રાલ ગામમાં 2018-19માં થયેલા માટી ખોદકામની પરમિશન માટે રજૂ થયેલા ઠરાવો શંકાસ્પદ

ભરૂચ: દેત્રાલ ગામમાં થયેલા માટી ખોદકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં સરપંચ પતિ અને તાલુકા ભાજપના મહામંત્રીની સંડોવણી હોવાના આરોપો લાગી રહ્યા છે. આ વચ્ચે આજે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. 2018-19માં થયેલા માટી ખોદકામમાં ખાણ ખનીજ વિભાગમાં રજુ થયેલા ઠરાવ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યુ છે.
ગામમાંથી ખોદકામ કરવું હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ જરૂરી છે. ગ્રામ પંચાયતના ઠરાવના આધારે ખાણ ખનીજ વિભાગ માટી ખોદવા માટેની મંજૂરી આપે છે. આ ઉપરાંત ગૌચરની જમીન કોઈ પણ ઈસમ ખોદી ન શકે. આ નિયમ હોવા છતાં ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં માટી ખોદકામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. વર્ષ 2017માં હંસાબેન અનિલભાઈ રાણા દ્વારા દેત્રાલ ગામમાં ખોદકામ માટેની મંજુરી મંગાઈ હતી. જેમાં દેત્રાલ ગ્રામ પંચાયતનો 31 જાન્યુઆરી 2017નો ઠરાવ રજુ કરાયો હતો. ઠરાવના આધારે ખાણ ખનીજ વિભાગે માટી ખોદવા માટેની પરવાનગી આપી દીધી હતી. પરંતુ તલાટીએ એક આર.ટી.આઈમાં એવો જવાબ આપ્યો છે કે 2016 થી 2021 દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા માટી ખોદકામ કરવા માટે કોઈ ઠરાવ કર્યો નથી. ગ્રામ પંચાયતને આવા માટી ખોદકામથી કોઈ આવક થઈ નથી.
તલાટીના આ જવાબ પછી સવાલ એ ઉભો થાય છે કે, જો 2016થી 2021 દરમિયાન માટી ખોદકામ માટેનો એક પણ ઠરાવ થયો નથી તો ખાણ ખનીજ વિભાગમાં જે ઠરાવ રજૂ થયો છે એ આવ્યો ક્યાંથી? તલાટીના જવાબ પરથી તો એ જ સાબિત થાય છે કે સરકારને ગેરમાર્ગે દોરીને બોગસ ઠરાવના આધારે મંજુરી લેવામાં આવી હતી?
સરપંચ પતિ અને તલાટીના નિવેદનમાં વિસંગતતા
ભરૂચ: વર્ષ 2018-19માં દેત્રાલ ગામમાં જે ખોદકામ થયુ હતું તેમાં રજુ થયેલા ઠરાવો શંકાસ્પદ છે. આ અંગે જેની પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે તે સરપંચ પતિ અને ભરૂચ તાલુકા ભાજપના મહામંત્રી ગજાનંદ મહંતે જણાવ્યુ હતું કે, ઠરાવ સાચા છે. તલાટીએ આર.ટી.આઈમાં ખોટો જવાબ આપ્યો છે. અને જે ગૌચરની જમીન ખોદવાની વાત છે એ તો 35 વર્ષ પહેલા ખોદાવામાં આવી હતી. બીજી બાજુ તલાટી અતુલભાઈને પુછતાં તેમણે જણાવ્યુ હતું કે, મારા કાર્યકાળમાં કોઈ ખોદકામ કે ઠરાવ થયુ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ગામની જવાબદારી જે બે મુખ્ય વ્યકિતઓ પર છે તે સરપંચ અને તલાટી એકબીજા પર દોષારોપાણ કરતાં હોય ત્યાં નક્કી જ દાળમાં કાળુ હોઈ શકે.
ખાણ ખનીજ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચી
ભરૂચ: ગૌચરમાં ગેરકાયદેસર માટી ખોદકામની ફરીયાદ મળતા ખાણ ખનીજ વિભાગની ટીમ તપાસ અર્થે આજે દેત્રાલ ગામ પહોંચી હતી. ભુસ્તર શાસ્ત્રી કે.જે. રાજપરાના જણાવ્યા અનુસાર હાલમાં વિવાદવાળી જગ્યાની માપણી કરી છે. જો કે, સ્થળ પર તલાટી કે સરપંચ હાજર રહ્યા નહોતા. માપણી કરીને ગેરકાયદેસર ખોદકામ અને બોગસ ઠરાવ અંગે ટી.ડી.ઓને જાણ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે.




