તાંદળજામાં પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Wastage : વડોદરા શહેરમાં પાણીની લાઈનમાં ભંગાણના કારણે શુદ્ધ પાણીના વેડફાટની વધુ એક ઘટના સામે આવી છે. તાંદળજા વિસ્તારમાં જે.પી. રોડ પોલીસ મથક પાસે ગઈકાલે રાત્રે પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં ચોખ્ખું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. બાદમાં આ પાણી ગટરમાં વહી જતાં હજારો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો.
તાંદળજા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને અવારનવાર ફરિયાદો સામે આવતી હોવા છતાં બીજી તરફ પાણીની લાઈનમાં ભંગાણ થતાં ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સામાજિક કાર્યકરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક તરફ તાંદળજાના રહેવાસીઓ પાણી માટે પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ પડવાથી મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે. ખાસ કરીને એક જ સ્થળે વારંવાર ભંગાણ પડતું હોવા છતાં કાયમી સમારકામ કરવામાં આવતું નથી.
જે.પી. રોડ પોલીસ મથક પાસે જ્યાં હાલમાં પાણીની લાઈનમાં ભંગાણ થયું છે, ત્યાં અગાઉ પણ અનેક વખત સમારકામ કરવામાં આવ્યું હોવાનું સામાજિક કાર્યકરે જણાવ્યું છે. વારંવાર સમારકામ કર્યા બાદ તેના બિલો પણ ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કામગીરીની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. શહેરમાં પાણીની અછત વચ્ચે શુદ્ધ પાણીના આવા વેડફાટને રોકવા મ્યુનિસિપલ કોર્પોરેશન કાયમી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.




