વડોદરા રાત્રિ બજારમાં ફરી માથાભારે તત્ત્વોનો આતંક: મારામારી, ખુરશીઓ ઉછળતા અફરાતફરીનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના કારેલીબાગ રાત્રિ બજારમાં ફરી એક વખત મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં છૂટા હાથની મારામારી થઈ હતી. દરમિયાન એકબીજા પર ખુરશીઓ પણ ઉછાળવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના પગલે રાત્રિ બજારમાં ખરીદી અને ખાણીપીણી માટે આવેલા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે સ્થળ પરથી દોડી નીકળ્યા હતા, જ્યારે વેપારીઓમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
કારેલીબાગ રાત્રિ બજારમાં અગાઉ પણ અનેક વખત મારામારી અને હોબાળાના બનાવો સામે આવી ચૂક્યા છે. તેમ છતાં આવી ઘટનાઓ પર અસરકારક અંકુશ ન આવતા અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રાત્રિ બજારના કેટલાક વિસ્તારો અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકો અને પરિવારો અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે.
વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે રાત્રિ બજારમાં કડક પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ અને અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. નાગરિકોનું કહેવું છે કે રાત્રિ બજાર પરિવારો માટે સુરક્ષિત બને તે માટે તંત્રએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા જરૂરી છે.




