પ્રધાનમંત્રી આવે ત્યારે રસ્તા ચકાચક થાય છે : છ વર્ષથી ઉબડખાબડ રસ્તાથી રહીશોનો હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના વોર્ડ નંબર-4માં હાઇવેને અડીને એપીએમસી માર્કેટની સામે આવેલા સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરના રહીશોએ રસ્તાની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકરની આગેવાનીમાં સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શહેરમાં આવે ત્યારે રસ્તાઓ ચકાચક કરી દેવામાં આવે છે, પરંતુ સામાન્ય રહીશોની સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવતું નથી. સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરના રહીશોને છેલ્લા છ વર્ષથી સારા રસ્તાની સુવિધા મળી રહી નથી.
સોસાયટી તરફ જતો માત્ર 200 મીટર જેટલો રસ્તો બનાવવાની માગ છે. રસ્તો ઉબડખાબડ હોવાથી વાહનચાલકો અને સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહીશોમાં નારાજગી જોવા મળી હતી.
કોંગ્રેસ કાર્યકરે ચીમકી ઉચ્ચારી હતી કે, 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી વડોદરા આવી રહ્યા છે ત્યારે સોસાયટીના રહીશોને સાથે રાખીને તેમની રેલી દરમિયાન રસ્તાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવશે.




