કોઈ વિદ્યાર્થી સતત 10 દિવસ ગેરહાજર રહેશે તો નિરિક્ષકને ફોન પર એલર્ટ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ હવે મોબાઈલ એપ થકી સમગ્ર વહીવટને પેપરલેસ બનાવવા માટે નિર્ણય લીધો છે.જેમાં સૌથી મહત્વની વાત એ છે કે, આ મોબાઈલ એપ વિદ્યાર્થીઓની ગેરહાજરીની પણ ચાડી ખાશે.
શિક્ષણ સમિતિના શિક્ષકોની સાથે સાથે વહીવટી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી રહી છે.જેનું આગામી પંદર થી વીસ દિવસમાં લોન્ચિંગ કરાશે.શાસનાધિકારી વિપુલ ભરતીયાએ કહ્યું હતું કે, મોબાઈલ એપના કારણે દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે અને કેટલા ગેરહાજર છે તેની રિયલ ટાઈમ જાણકારી નિરિક્ષકોથી માંડીને શાસનાધિકારીને મળશે.ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ૧૦ કરતા વધારે દિવસોથી ગેરહાજર હશે તો તેનો એલર્ટ આપોઆપ નિરિક્ષકને મળશે અને એ પછી નિરિક્ષક આવા વિદ્યાર્થીના વાલીઓ સાથે વાત કરવાથી માંડીને આગળની કાર્યવાહી કરશે.જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં મદદ મળશે.
આ એપ એ રીતે ડિઝાઈન કરવામાં આવી રહી છે કે, ૨૦૦૦ લોકો એક સાથે તેનો ઉપયોગ કરી શકે.શિક્ષકો માટે પણ એપના કારણે વહીવટી કામગીરી સરળ બનશે.શિક્ષકો એપ પરથી રજાની મંજૂરી, એલટીસી માટેની મંજૂરી, ઉચ્ચતર પગાર ધોરણ સહિતના કામો માટે અરજી કરી શકશે અને તેના પરથી જ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે.જેના કારણે શિક્ષકોના ધક્કા બચશે અને અરજી કે તેની સાથેના દસ્તાવેજો ગૂમ થઈ ગયા હોવાની જે ફરિયાદો ઉઠે છે તે પણ નહીં રહે.ઉપરાંત સમિતિના વિવિધ કાર્યક્રમોની અને સરકારના પરિપત્રોની જાણકારી પણ શિક્ષકોને એપ થકી મળી જશે.




