8 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસને કારણે ગણેશોત્સવના આયોજકોની પરવાનગી રદ કરવાની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈને એક તરફ શહેરમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ એ જ દિવસે ગણેશોત્સવના ધાર્મિક કાર્યક્રમો માટે અગાઉથી અપાયેલી પરવાનગીઓ રદ કરવામાં આવશે તેવી ચર્ચાએ આયોજકોમાં ચિંતા ઊભી કરી છે.
આ મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે ગણેશોત્સવના આયોજકોએ 8 સપ્ટેમ્બરના રોજ ગણેશજીના આગમન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવા માટે અગાઉથી પરવાનગીઓ મેળવી લીધી છે.
કાઉન્સિલરે રજૂઆતમાં જણાવ્યું છે કે આ કાર્યક્રમો માટે આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ, ઢોલ-તાસા અને પ્રસાદી સહિતની વ્યવસ્થાઓ અગાઉથી બુક કરી દીધી છે અને તેના માટે ખર્ચ પણ કરવામાં આવ્યો છે. હવે જો અચાનક આ કાર્યક્રમોની પરવાનગી રદ કરવામાં આવશે તો આયોજકો પર મોટો આર્થિક બોજો પડી શકે છે.
તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે વડાપ્રધાનનો કાર્યક્રમ 8 સપ્ટેમ્બરના રોજ બપોરે અંદાજે 3 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે ગણેશોત્સવના મોટાભાગના આયોજકોએ ગણેશજીના આગમનના કાર્યક્રમો સાંજના સમયે યોજવાનું આયોજન કર્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનના કાર્યક્રમને અસર ન થાય તે રીતે સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમો યોજવા મંજૂરી આપી શકાય તેમ છે.




