અયોધ્યા બાદ હવે ગુજરાતના અંબાજીમાં પણ દાન ચોરી, હિંદુત્વની ગુલબાંગો વચ્ચે મંદિરો અસલામત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambaji Temple Theftઅયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક તરફ, હિન્દુત્વની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ગુજરાતમાં યાત્રાધામોમાં દાનપેટી પણ સલામત રહી નથી. આ જોતાં હવે યાત્રાધામોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યાં છે. અંબાજીમાં દાનચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ રોષે ભરાયાં છે. દાનચોરીની ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી છે.
CCTV ફૂટેજથી ખુલાસો: બંડલ છુપાવીને ચોરી કરતો ઝડપાયો મુખ્ય આરોપી
યાત્રાધામ અંબાજી મંદિરમાં એપ્રિલ મહિનામાં દાન ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર 21 એપ્રિલના રોજ નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો જોવા મળ્યો હતો. 7 મેના રોજ ચિરાગ ઠાકોર રૂ. 1.04 લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થયા છે.
વિવાદ બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવી વ્યવસ્થા અમલી
અંબાજી મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકી હતી. હવે દાન ગણતરીના પ્રક્રિયામાં વર્ગ 4 અને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને સંપૂર્ણપણે દૂર કરાયા છે. ભંડાર કક્ષમાં લગભગ 20 હાઇટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
દાન ચોરી બાદ તંત્ર એક્શનમાં: ભંડાર રૂમથી લાઇવ પ્રસારણ શરૂ
દાન ચોરી બાદ તંત્રને જ્ઞાન આવતા દાન ગણતરીના પ્રક્રિયાનું મંદિર પરિસરની એલઇડી સ્ક્રીન પર લાઇવ પ્રસારણ કરાઈ છે. આ ઉપરાંત મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા દર અઠવાડિયે રૂબરૂ નિરીક્ષણ, કર્મચારીઓ માટે ફરજિયાત હાજરી રજિસ્ટર, મંજૂરી વગર રાત્રિ રોકાણ પર પ્રતિબંધ સહિત અનેક કડક નિયમો અમલમાં મૂકાયા છે.
અંબાજી મંદિરમાં 2023માં પ્રસાદનો પણ વિવાદ થયો હતો
હિન્દુત્વના નામે મત માંગવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં 2023માં પ્રસાદનો પણ વિવાદ થયો હતો. અંબાજી મંદિરમાં એપ્રિલ 2023માં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કી આપવાનો વિવાદ થયો હતો અને આ વિવાદ દસ દિવસથી વધુ સમય ચાલ્યો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કાપ મૂકાયો હતો અને દસ દિવસ બાદ સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને મોહનથાળ અને ચીક્કી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.









