મહાભારતના યુદ્ધ માટે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની જમીન કેમ પસંદ કરી? રસપ્રદ છે કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahabharata: મહાભારત એ પંચમ વેદ છે. મહાભારત માટે એવું કહેવામાં આવ્યું છે કે, જે મહાભારતમાં છે તે જ બધે છે અને જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય નથી. પિતામહ ભિષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરજીને જ્ઞાન આપે છે. જેમાં રાજ ધર્મ, આપત્તિનો ધર્મ, દાન ધર્મ આ બધા ધર્મોનું નિરૂપણ મહાભારતના શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં છે. શાંતિ પર્વમાં પિતામહા ભિષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરજીને શંખ અને લિખિત નામના ઋષિની કથા વર્ણવે છે. શંખ અને લિખિત બન્ને ભાઈઓ અને તપસ્વી ઋષિમૂનિઓ હતાં. બંન્નેના આશ્રમો એકબીજાની પાસે-પાસે હતાં. એકવાર એમ બન્યું કે, લિખિત ઋષિ બહાર ગયા હતા અને શંખ ઋષિ લિખિત ઋષિના આશ્રમમાં આવ્યાં.
લિખિત ઋષિના આશ્રમમાં ફળ-ફૂલથી વૃક્ષો ફલિભૂત હતાં. તે સમયે શંખ ઋષિને ભૂખ લાગી એટલે શંખ ઋષિએ ઝાડ પરથી થોડાંક ફળ લઈને ફલાહાર કર્યો. પણ પછી શંખ ઋષિને પોતાની ભૂલ સમજાણી કે મેં મારા ભાઈની આજ્ઞા નથી લીધી. થોડા સમયમાં લિખિત ઋષિ બહારથી આવ્યાં તે સમયે શંખ ઋષિએ કહ્યું કે, ભાઈ ! મારાથી એક અપરાધ થઈ ગયો છે. તમારા વૃક્ષ પરથી મેં ફળ ગ્રહણ કર્યાં છે. તે સમયે લિખિત ઋષિએ કહ્યું કે શંખ તમે મારા ભાઈ છો. શંખ ઋષિએ કહ્યું કે, ભાઈ અવશ્ય લઈ શકે પણ મારે તમારી આજ્ઞા લેવી જોઈએ. તમને પૂછયાં વગર વાટિકામાંથી ફળ લીધાં છે માટે મને શિક્ષા થવી જોઈએ. તે સમયે સુદ્યુમ્ન નામના રાજા રાજ્ય કરતાં હતાં. લિખિત ઋષિએ શંખ ઋષિને કહ્યું કે જો તમારી એવી જ ઈચ્છા હોય તો તમે સુદ્યુમ્ન રાજા પાસે જાવ. તેઓ કંઈક નિર્ણય કરશે.
સુદ્યુમ્ન રાજા પાસે શંખ ઋષિ ગયા છે અને શંખ ઋષિએ કહ્યું કે, હું મારા ભાઈ લિખિતના આશ્રમમાં ગયો અને તે સમયે લિખિત બહાર હતાં અને મેં તેમને પૂછયા વગર જ તેમની વાટિકામાંથી ફળ લીધાં એ મારી ભૂલ છે. તો મને એની શિક્ષા થવી જોઈએ. રાજા ને આશ્ચર્ય થયું અને કહ્યું કે તમે ફળ ખાધું છે અને તમે બંન્ને ભાઈઓ છો. તો તેમાં શું શિક્ષા થઈ શકે.? ત્યારે શંખે કહ્યું કે ભલે અમે ભાઈઓ હોઈએ પણ મેં મારાભાઈને પૂછયા વગર ફળ ખાધા છે એટલે મને શિક્ષા થવી જોઈએ. ત્યારે રાજાએ ઘણો વિચાર કર્યો અને ત્યારબાદ તેમણે શંખ ઋષિને કહ્યું કે જો તમારી એવી જ ઈચ્છા હોય તો તમે જે હાથેથી ફળ લીધા છે તે હાથને હું કાપી નાંખુ.
રાજાની એ વાત શંખ ઋષિએ સ્વીકારી. જે હાથેથી તેમણે ફળ તોડ્યા હતાં તે હાથ તેમણે કપાવી નંખાવ્યા. હાથ કપાયા પછી શંખ ઋષિ પોતાના ભાઈ લિખિત ઋષિના આશ્રમમાં આવ્યાં. લિખિત ઋષિએ પોતાના ભાઈની ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને આવો ભાવ જોઈ અત્યંત પ્રસન્ન થયાં. તે સમયે લિખિત ઋષિએ કહ્યું કે, હે ભાઈ ! તમે એક કામ કરો બાહુધા નદીમાં સ્નાન કરીને આવો. શંખ ઋષિ બાહુધા નદીમાં જેવા સ્નાન કરવા ગયા તે સમયે એક ઘટના ઘટી કે જે હાથ તેમના કપાઈ ગયા હતા તે પાછા મળી ગયાં.
આ સમગ્ર પ્રસંગ પિતામહ ભિષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરજીને વર્ણવે છે. પ્રસંગનો સાર એક જ છે કે ધન કમાવવું તો નિતિથી, જીવન જીવવું તો શાસ્ત્ર પ્રિતિથી અને ભગવાન ભજવા રીતીથી. બીજું કે રાજાને માટે આ પ્રસંગ એ સમજાવવા માંગે છે કે રાજા એ ભગવાનનું રૂપ છે. ગીતાજીના દશમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા માંગે છે કે મનુષ્યોમાં રાજા હું છું. તો રાજાના ગુણ કેવા હોવા જોઈએ!? રાજાએ ધર્મ પૂર્વક ન્યાય કરવો. જેવી રીતે સુદ્યુમ્ન રાજાએ ન્યાય કર્યો. માટે જ મહાભારતમાં આ બધા ગૂઢાર્થો પ્રગટ કર્યાં છે. માટે જ મહાભારત એ વાંચવું જોઈએ.
મહાભારત જો સંપૂર્ણ ન વાંચી શકો તો મહાભારતનું શાંતિપર્વ અને અનુશાસન પર્વ એ સમગ્ર મહાભારતનો સાર છે. શંખ ઋષિ અને લિખિત ઋષિ જેવા ગુણો આપણી અંદર પણ હોવાં જોઈએ. આપણે ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખવી અને નિતિનું લઈએ અને એટલે જ એક ભાવગીતમાં વર્ણવ્યું છે કે, 'એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને, ફુલડું બનું કે ભલે ધૂપસળી થાઉં આશા છે સામગ્રી પૂજાની થાઉં. ભલે કાયા આ રાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં સુગંધના સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ કસાતી. પ્રભુ કાર્યે ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને.' ધર્મ અને નિતિથી કાર્ય કરીએ, ભગવાનના કાર્યમાં ઘસાઈએ.









