અમદાવાદ, તા.06 માર્ચ-2023, સોમવાર
યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા ખાતે આજે હોલિકા દહન કરવામાં આવશે. આજે સાંજે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થતાં લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો થઇ શકશે. જોકે, જ્યોતિષીઓના મતે આ વખતે મંગળવાર-બુધવારે શુભ યોગ નથી. શુભ કાર્ય ગુરુવારથી દિન શુદ્ધિ જોઈને કરી શકાશે.
હોલિકા દહનનું મુહૂર્ત
શાસ્ત્રવિદોના મતે ‘ફાગણ માસની પૂનમ ૬ માર્ચના સાંજે 4 કલાક 18 મિનિટના શરૂ થાયછે અને તે 7 માર્ચના સાંજે 6:11ના પૂર્ણ થશે. 6 માર્ચના સોમવારના પૂનમની તિથિ મળે છે. 7 માર્ચના પૂનમ સાંજે 6 ક્લાક 11 મિનિટે પૂર્ણ થાય છે અને સૂર્યાસ્ત 6 કલાક 44 મિનિટે થાય છે. જેના કારણે પૂનમ અને પ્રદોષ કાળ મળતા નહીં હોવાથી 6 માર્ચે સાંજે 6 કલાક 54 મિનિટ બાદ હોલિકા દહન કરી શકાય.’
સોમનાથ મંદિર પરિસરમાં પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે સાંજે 7.45ના હોલિકાદહન કરાશે. હોલિકા દહન વખતે ગીર ગાય માતાનું ઘી, ગૌ માતાનાછાણા, ભીમસેન કપૂર, પવિત્ર સમીધ કાષ્ટ, ધૂપ તેમજ જડીબુટ્ટી સાથે હોલિકા પૂજન અને પછી હોલિકા પ્રજ્જવલિત કરાશે.
હોળી પ્રગટાવ્યા બાદ વર્ષ કેવું જશે તેનો વરતારો કરાશે
અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર તેમજ રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ મંગળવારે હોલિકા દહન કરવામાં આવશે. હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં વચ્ચે ખોસેલી ધજા સળગીને કઈ દિશામાં પડે છે અને હોળીની જ્વાળા કઈ બાજુ જાય છે, તેનું નિરીક્ષણ કરીને તેના આધારે વર્ષ કેવું જશે તેનો વરતારો કરાય છે. હોળીના ભડલી વિધાન-ચોપાઈમાં કહેવાયું છે કે, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય... વાયુ જો પૂર્વનો વાય, કંઇ કોરો ને કંઇ ભીનો જાય... દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમયે નવ ઉપજે ઘાસ... ઉત્તરનો વાયુ જો બહુ હોય, પૃથ્વી પર પાણી બહુ હોય... જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં જુરે રાય... જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બનાય (બને)...


