કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી 144 કરોડની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ઇન્ડોનેશિયન કોલસાના વેપારમાં ઊંચા નફાની લાલચ આપી ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા.લિ. કંપનીના ડાયરેક્ટર કમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય હર્ષદભાઇ ચોટલીયા (રહે. ૧૦૦૧ સ્વાતિ કિમશન એન્ડ ફ્લોવર, શિલજ સર્કલ, થલતેજ, અમદાવાદ) અને તેના બે ભાગીદારો મિતેશ કિરીટભાઇ સંઘવી (રહે. જનતા સોસાયટી-૩, મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે, રાજકોટ) અને મનિષ ગોવિંદભાઇ ડાંગી (રહે. ૪૧ અમરનાથ વિલાસ, સાયન્સ સિટી સર્કલ, પ્રાઇડ આઇકોન પાસે, સોલા-ભાડજ ક્રોસ રોડ, અમદાવાદ)એ રાજકોટના રોકાણકારો સાથે ૧૪૪ કરોડની છેતરપિંડી કર્યાની ઇઓડબલ્યુમાં ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના ઇતિહાસની આ સૌથી મોટી છેતરપિંડી હોવાનું મનાય છે.
બિગ બજાર પાછળ સાંઇનગરમાં રહેતા અને નિવૃત જીવન વ્યતિત કરતા જયેન્દ્રભાઇ મૂળજીભાઇ અકબરી (ઉ.વ.૫૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉ મિત્ર અરવિંદભાઇ જસમતભાઇ રામાણી સાથે વેપાર કરતા હતા. અરવિંદભાઇ અવધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. નામની પેઢી ધરાવે છે. તેના સીએ અને આર્થિક સલાહકાર તરીકે જય ચોટલીયા કામકાજ કરતા હતા.
૨૦૨૧માં અરવિંદભાઇએ તેને કહ્યું કે, જય અને તેના બે મિત્રો ટર્નરેસ્ટ નામની કંપની ચલાવે છે. આ કંપની ઇન્ડોનેશિયન કોલસો ઇર્મ્પોટ કરી ભારતમાં વેંચે છે. તેણે અને તેના પરિવારે કંપનીમાં રોકાણ કર્યંવ છે. કંપની દ્વારા પાંચ વર્ષ બાદ ઊંચુ વળતર આપવામાં આવશે. આખરે તેણે પણ રોકાણ કરવાનું નક્કી કરી અરવિંદભાઇ સાથે ૨૦૨૧માં જયની વિદ્યાકુંજ મેઇન રોડ પર સનશાઇન આર્કેડમાં આવેલી ઓફિસે મુલાકાત લીધી હતી. તે વખતે જય સાથે મિતેશ અને મનિષ પણ હાજર હતા.
ત્રણેય આરોપીઓએ રોકાણ અંગેની સ્કીમો સમજાવી હતી. જે સ્કીમો ત્રણ પ્રકારની હતી. પહેલી સ્કીમમાં ડીપોઝીટ સ્વરૂપે બેંક મારફતે રોકાણ, બીજી સ્કીમમાં કંપનીના શેર ખરીદવા, ત્રીજી સ્કીમમાં બેંકની સીસી-લોનમાં મિલ્કત જામીનગીરી તરીકે મોર્ગેજ કરીને કંપનીમાં રોકાણનો સમાવેશ થાય છે. સાથોસાથ એમ પણ કહ્યું કે, જે મિલ્કતો જામીનગીરી તરીકે બેંકમાં મોર્ગેજ તરીકે લખી આપવાની છે તેની અવેજમાં બેંક પાસેથી તેમની કંપની લોન-સીસી લેશે.
લોનની રકમ પાંચ વર્ષ સુધી કોલસાના ધંધામાં ઉપયોગમાં લેશે. રોકાણ કરેલી રકમથી તેમની કંપનીનું ટર્નઓવર આવતા પાંચ વર્ષમાં આશરે ૧૫૦૦થી ૨૦૦૦ કરોડ થઇ જશે. તેમાંથી જે નફો થશે તેમાંથી રોકાણકારોને પાંચ વર્ષ બાદ ઊંચુ વળતર અને ડીપોઝીટ તરીકે રાખેલી રકમ પરત ચુકવવામાં આવશે. સાથોસાથ મોર્ગેજ કરેલી મિલ્કત બેંકમાંથી છોડાવી આપવામાં આવશે.
એટલું જ નહીં, જયે વધુમાં કહ્યું કે, ડીપોઝીટરોએ પાંચ વર્ષ સુધી પોતાનો નફો કે ડીપોઝીટની રકમ ઉપાડવાની રહેશે નહી. બેંકમાં મોર્ગેજ કરેલ મિલ્કતો છોડાવવાની રહેશે નહી અને કંપનીમાં જમા રાખવાની રહેશે. આ તમામ વાતચીત બાદ વિશ્વાસમાં આવી તેણે લોધિકાના વડવાજળી ગામે આવેલી બિન ખેતી જમીન (મિલ્કત) મોર્ગેજ કરી હતી. ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ પોતાની મિલ્કતો પણ જામીનગીરીમાં આપી દેતા કંપની દ્વારા રૂા.૨૦ કરોડની લોન-સીસી મેળવવામાં આવી હતી.
આ જ રીતે તેના નામની મિલ્કતો ઉપરાંત અન્ય રોકાણકાર કેશુભાઇ બોદરના નામે આવેલી મિલ્કતો ૨૦૨૩માં જામીનગીરીમાં લઇ જયે ધી-કોઓપરેટીવ બેંક ઓફ રાજકોટમાંથી કુલ રૂા.૪૦ કરોડની લોન-સીસી મેળવી હતી. તેના સિવાય અન્ય રોકાણકારોએ પણ આરોપીઓની ટર્નરેસ્ટ કંપની ઉપરાંત અન્ય ભાગીદારી કંપની મિરેકલ એન્ટરપ્રાઇઝમાં રોકાણ કર્યું હતું. જેમને પણ આજ સુધી વળતર ચુકવ્યું નથી.
આ રીતે ત્રણેય આરોપીઓએ તેના ઉપરાંત અન્ય રોકાણકારો સાથે ૧૪૪ કરોડ ૧૯ લાખની છેતરપિંડી કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ઇઓડબલ્યુને સોંપવામાં આવી છે.




