Chaitra Navratri 2026: હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026 માં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ, ગુરુવારથી થઈ રહ્યો છે. આ દિવસથી જ શાલીવાહન શક સંવત 1948 (પરાભવ સંવત્સર) નો પ્રારંભ થશે. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસોમાં આદ્યશક્તિની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
નવરાત્રિ તિથિ અને દિવસોનું સમય પત્રક
આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિના આઠમા દિવસે એટલે કે 26 માર્ચે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ 'રામ નવમી' ઉજવવામાં આવશે.
ચાર યુગ અને ચાર નવરાત્રિનું મહત્ત્વ
જ્યોતિષચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે, જે રીતે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ છે, તેવી જ રીતે વર્ષમાં ચાર નવરાત્રિ (ચૈત્ર, અષાઢ, આસો અને મહા) આવે છે. શ્રીમદ દેવી ભાગવતમાં પણ આ વ્રતનો મહિમા ગવાયો છે. ભગવતી દુર્ગાની આરાધના કરવાથી જીવનની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિઓ દૂર થાય છે અને સાધકને ઉન્નતિ તેમજ સદગતિ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
પૂજન વિધિ અને કુળદેવીની ઉપાસના
પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરી નવ દિવસની અખંડ ભક્તિનો પ્રારંભ થાય છે. આ દિવસોમાં ભક્તો બ્રહ્મચર્યનું પાલન, એકટાણું અથવા ફરાળી ઉપવાસ કરી એક ચિત્તે માતાજીની સેવા કરે છે. નવરાત્રિ દરમિયાન દરેક પરિવાર પોતાના રિવાજ મુજબ કુળદેવીને નૈવેદ્ય (પ્રસાદ) અર્પણ કરે છે. માનવામાં આવે છે કે તેનાથી કુળની રક્ષા અને વૃદ્ધિ થાય છે. ઘણાં ભક્તો પોતાના નગર કે શહેરની રક્ષક દેવી (નગરદેવી)ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચૈત્રી નવરાત્રિ એ માત્ર ઉપવાસનો તહેવાર નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે.


