Badrinath Dham 2026: ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ બદ્રીનાથના કપાટ 23 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે 6 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. હવે આગામી 6 મહિના સુધી શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે અને અહીંના દિવ્ય વાતાવરણમાં માનસિક શાંતિનો અનુભવ કરી શકશે. પરંતુ, આ પવિત્ર ધામ સાથે જોડાયેલા કેટલાક એવા આશ્ચર્યજનક રહસ્યો છે જે આજે પણ વિજ્ઞાન માટે કોયડો બનેલા છે.
6 મહિના બંધ મંદિરમાં કેવી રીતે પ્રજ્વલિત રહે છે અખંડ જ્યોત?
બદ્રીનાથ ધામનું સૌથી મોટું રહસ્ય તેની 'અખંડ જ્યોત' છે. શિયાળાની શરૂઆત પહેલા જ્યારે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે, ત્યારે ગર્ભગૃહમાં ઘીનો એક મોટો દીવો પ્રગટાવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, 6 મહિના પછી જ્યારે મંદિર ફરીથી ખોલવામાં આવે છે, ત્યારે આ દીવો તેટલો જ પ્રજ્વલિત જોવા મળે છે. સ્થાનિક લોકો અને પૂજારીઓ માને છે કે આ 6 મહિના દરમિયાન દેવતાઓ સ્વયં આ જ્યોતિની રક્ષા કરે છે. કપાટ ખૂલ્યા બાદ ભક્તો સૌથી પહેલા આ દિવ્ય જ્યોતિના દર્શન કરે છે, જેને ભગવાન વિષ્ણુની સાક્ષાત્ હાજરીનું પ્રતીક માનવામાં આવે છે.
પશુ-પક્ષીઓ પણ જાળવે છે બદ્રીનાથની પવિત્ર મર્યાદા
બદ્રીનાથ ધામના વાતાવરણને લઈને એક અનોખી માન્યતા છે કે મંદિરની સીમામાં કૂતરાઓ ક્યારેય ભસતા નથી. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અહીં નર-નારાયણ સ્વરૂપે ધ્યાન મુદ્રામાં લીન છે. તેમના ધ્યાનમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે અહીંનું વાતાવરણ અત્યંત શાંત અને અલૌકિક રહે છે. પશુ-પક્ષીઓ પણ આ દિવ્ય શાંતિનો આદર કરતા હોય તેવું અહીં અનુભવાય છે.
આ પણ વાંચો: વાંચો તમારું 23 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય
ઝેર વગરના સાપ અને વીંછી
બદ્રીનાથ ધામમાં જોવા મળતા જીવજંતુઓ વિશે પણ એક ચોંકાવનારી લોકવાયકા છે. અહીં જોવા મળતા સાપ અને વીંછી ઝેરી હોતા નથી. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ આ ક્ષેત્રના ઝેરી જીવોને આશીર્વાદ આપ્યો હતો કે તેઓ કોઈને નુકસાન નહીં પહોંચાડે. જોકે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ શ્રદ્ધાળુઓ માને છે કે બદ્રીનાથની પવિત્ર ધરતી પર પ્રકૃતિ પણ અહિંસક બની જાય છે અને કોઈ જીવ કોઈને હાનિ પહોંચાડતો નથી.


