Gujarat

ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીને છ-છ માસની કેદ

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીને છ-છ માસની કેદ

તલોદ, તા. 2

તલોદ ખાતે આવેલી જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ચેક રીટર્નના બે અલગ અલગ ગુનાઓમાં બંને આરોપીઓને ૬-૬ માસની સાદી કેદની સજા ફટકારીને બંનેને રૂ. ૧૦-૧૦ હજાર દંડ પણ ફટકારેલ છે. દંડ નહીં ભરે તો આરોપીઓને વધુ ૧ માસ સાદી કેદ ભોગવવી પડશે તેવો પણ હુકમ તલોદની સિવિલ કોર્ટના જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ.એફ. પઠાણે કરી છે.

તલોદના ઉમા કેટર્સ વાળા અશોક ગણપતભાઈ રાજગોર (રસોઇયા)એ પ્રાંતિજ તાલુકાના રામપુરા (આમોદરા)ના રહીશ રમેશજી રામાજી પરમાર ને ત્યાં તેમની દિકરીના લગ્ન પ્રસંગે તા. ૨૬-૪-૧૮ ના રોજ ૧૦૦ માણસોની રસોઈ બનાવી હતી. રૂ. ૯૦ હજાર નિર્ધારીત રકમ સામે બાનામાં અશોક રાજગોરને રમેશજી પરમારએ  રૂ. ૧૦ હજાર આપ્યા હતા.

બાકીના રૂ. ૮૦ હજારની જુન માસમાં ઉગરાણી કરતાં આપેલ ચેક તા. ૯-૧-૨૦૧૯ના રોજ ખાતામાં બેલેન્સ નહીં હોવાના મેમા સાથે પરત ફર્યો હતો. બાદ ન્યાય મેળવવા કેટરર્સે (રસોઈયા) રાજગોરે કોર્ટમાં કેસ  દાખલ કર્યો હતો. ફરીયાદી રસોઇયા રાજગોરના વકીલ આર.એચ. પંડયા અને આરોપીના વકીલ સી.યુ. પરમારની દલીલો બાદ આખરે આરોપી ઇસમ રમેશજી પરમારને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ મુજબ દોષીત ઠરાવીને સિવિલ જજ એમ.એફ. પઠાણે ઉક્ત સજા/દંડ ફટકાર્યો છે.બીજા કીસ્સામાં મોડાસા તાલુકાના દાવલી ગામના ધનજીભાઈ ડી. વણકર અને મોડાસા તાલુકાના શામપુરના રહીશ કનુભાઈ બાલાભાઈ પરમાર  મિત્રો હતા. ધનજીભાઈ તલોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવે છે. શામપુરના કનુભાઈ પરમાર એ મિત્રતાના નાતે ઓગષ્ટ ૨૦૧૮માં ધનજીભાઈ પાસેથી જમીન ખરીદવા માટે રૂ. બે લાખ ઉછીના લીધા હતા. બાદ સમયાંતરે કનુ પરમાર એ તા. ૧૫-૧-૧૯ના રોજનો એક ચેક રૂ. ૨ લાખનો આપ્યો હતો. જે ચેક તા. ૧૬-૧-૧૯ના રોજ અપૂરતા બેલેન્સને કારણે પરત ફર્યો હતો. બાદ પણ ઉઘરાણીમાં કંઇ નહીં મળતાં મિત્ર કનુ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં આખરે તલોદની કોર્ટના જ્યુડી. મેજી. ફ.ક. એમ.એફ. પઠાણએ આરોપી કનુ પરમારને દોષીત ઠરાવીને છ માસની સાદી કેદ અને રૂ. ૧૦ હજર દંડ ફટકારેલ છે.