Gujarat

વડાલી સહકારી જીનની કારોબારી સમિતિના 12 સભ્યોને બરખાસ્ત કરાયા

By GS Team
28 Dec 20212 mins read
This article was originally published on 28 Dec 2021

વડાલી તા. 27

વડાલી શહેરમાં આવેલી સહકારી જીનમાં રચાયેલી નવી કારોબારી સમિતિના ૧૨ સભ્યોની નિમણુંક પેટા નિયમો અનુસાર ગેરલાયક પુરવાર થતા જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર દ્વારા સોમવારે તમામ સભ્યોને બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂક કરવાનો હુકમ કરતા તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વડાલી કો.ઓ.એગ્રી.પ્રો. પ્રો. એન્ડ સે. સો. લી. (સહકારી જીન) ની કારોબારી સમિતિના મંડળી વિભાગના ૯,વ્યક્તિ ડેલીકેટ ૩ મળી કુલ ૧૨ સભ્યોની કાર્યકારી મુદત પૂર્ણ થતા ગત સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજવાનું જાહેરનામું જવાબદાર તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતું.જે ચૂંટણીમાં ૩૯ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.જે ઉમેદવારી ફોર્મ નિયમોનુસાર યોગ્ય ન જણાતા ચૂંટણી અધિકારીએ તમામ ફોર્મ રદ કર્યા હતા.જે બાદ દાદ કમિટી દ્વારા ગેરલાયક ધરાવતા ઉમેદવારોમોથી હુકમના બહાર જઈ નવીન ૧૨ સભ્યોની કમેટીની રચના કરવામાં આવી હતી.જે કમેટીની નિમણુક ગેરલાયક હોવાથી જેતપુર અને સવાસલાકંપા સેવા મંડળી દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

 જેમાંના કેટલાક કારોબારી સભ્યો મંડળીના પેટા નિયમ મુજબ ગેરલાયક જણાતા જિલ્લા રજીસ્ટ્રાર એ.પી. અસારી દ્વારા સહકારી નિયમોના નિયમ ૩૨(૧)(સી), ૩૨(૧)(એ) હેઠળ સોમવારે કમિટીના તમામ ૧૨ સભ્યોને સભ્ય પદેથી દુર કરવાનો હુકમ કર્યો હતો. તેમજ નવીન કારોબારીની ચૂંટણી સમયસર થાય તે ન્યાયના હિતમાં હોવાથી વ્યવસ્થાપક કમિટીના સ્થાને છ માસ માટે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૭૪(ડી)ની જોગવાઈ મુજબ વાય.જી. પ્રજાપતિની સહકારી અધિકારી (જનરલ)ની વહીવટદાર તરીકે નિમણુક કરવાનો હુકમ રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવ્યો હતો.સહકારી જીનની કારોબારીને બરખાસ્ત કરી દેવાતા આગામી સમયમાં નવીન ચૂંટણી પક્રિયા હાથ ધરવામાં એંધાણ દેખાતા તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.