Gujarat

અરવલ્લીમાં 231 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં ગરમાવો : આચારસંહિતાનો અમલ

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021

મોડાસા,તા.22

અરવલ્લી જિલ્લાની ૨૩૧ ગ્રામ પંચાયતોમાં માગસર સુદ પૂનમને ૧૯ ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર હોવાથી રાજય ચૂંટણી આયોગની જાહેરાત સાથે જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આજથી લાગુ પડાઈ છે. જિલ્લામાં ૧૯૬ સરપંચ અને ૧૭૫૦ વોર્ડ સભ્યોની ચૂંટણીને લઈ જાહેરાતને પગલે તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ આરંભાઈ છે. જયારે ૨૯મી નવેમ્બરના રોજ જાહેર થનાર જાહેરનામા બાદ ઉમેદવારી પત્રકો ભરવાનો આરંભ થનાર છે, ત્યારે ચૂંટણીની જાહેરાત સાથે જ જિલ્લામાં ભરઠંડીમાં રાજકીય ગરમાવો પ્રસર્યો હતો.

રાજયની ૧૪ હજારથી વધુ  ગ્રામ પંચાયતો પૈકી ૧૦૮૭૯ ગ્રામ પંચાયતમાં ડીસેમ્બર માસની કકડતી ઠંડીમાં ચૂંટણી યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા સોમવારના રોજ સત્તાવાર જાહેરાત સાથે જ ગ્રામ્ય ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે. જોકે આ ચૂંટણીઓ પંચાયત રાજના નિયમો હેઠળ રાજકીય પક્ષના નીશાન ઉપર લડી શકાતી નથી છતાં આ ચૂંટણીઓની જાહેરાત સાથે જ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓ તેમજ સમક્ષ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહયો છે.

અરવલ્લી જિલ્લામાં ૧૯૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય,૦૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર અને ૩૪ ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી મળી કુલ ૨૩૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૯મી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર હોઈ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ છે.જોકે આ ચૂંટણીઓનું  સત્તાવાર જાહેરનામું ૨૯મી નવેમ્બરને સોમવારના રોજ પ્રસિધ્ધ થનાર છે.પરંતુ આજથી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાના પાલનને લઈ તંત્ર  દ્વારા જરૂરી ટીમોની રચના અને સુપરવીઝન હાથ ધરવામાં આવનાર હોવાનું ચૂંટણી શાખાના નાયબ મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ જણાવ્યું હતું.

ઉમેદવારોએ ગુનાહિત ઈતિહાસ,મિલક્ત-દેવા અને લાયકાતનું બાંહેધરી પત્રક રજુ કરવાનું રહેશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ કે મિલક્ત-દેવા અંગેની જરૂરી વિગતો તેમજ લાયકાત માટે સોંગદનામું કરાવવાની જરૂરીયાત નથી એવો નિર્દેશ અગાઉ ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયેલ સુચનાઓ હેઠળ અપાયેલ છે. ઉમેદવારોએ આ વિગતો જરૂરી સેલ્ફ ડીકલેરેશન(બાંહેધરી પત્રક) દ્વારા જ પૂરી પાડવાની રહેશે.

લાજ કાઢવાનો રીવાજ હોય ત્યાં મહિલા માટે અલગ મતદાન મથક

ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈ ચૂંટણી આયોગ દ્વારા ૧૮ પાનાનો આદેશ અગાઉ કરાયો હતો.આ આદેશોમાં ગ્રામકક્ષાએ રીવાજો,મલાજો જાળવવા બાબતે અલગથી મહિલા મતદાન મથક ઉભું કરવા,ફરજ ઉપર મહિલા અધિકારીઓ નીમવા અને પોલીસ બંદોબસ્તમાં પણ મહિલા પોલીસ કર્મીની વરણી કરવા આદેશો કરાયા છે,જયારે આ ચૂંટણીમાં દૂધ મંડળીઓના વાહનો કે મકાનોનો ઉપયોગ નહી કરવા હુકમો કરાયા હતા.

કર્મીઓની રજા ઉપર પ્રતિબંધ: બદલીઓ નિમણૂંક ઉપર રોક

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાતને પગલે આજથી આદર્શ આચાર સંહિત અમલમાં આવી છે. આ આચાર સંહિતનાને પગલે કર્મચારીઓની રજા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જયારે બદલીઓ અને નિમણૂંક ઉપર પણ ચૂંટણીને પગલે રોક લાગી છે.