Gujarat

માજુમ જળાશયની કેનાલમાં લીકેજ થતાં ખેતર બેટમાં ફેરવાયા

By GS Team
23 Jan 20222 mins read
This article was originally published on 23 Jan 2022
માજુમ જળાશયની કેનાલમાં લીકેજ થતાં ખેતર બેટમાં ફેરવાયા

મોડાસા,તા. 22

અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં જ પંથકના ખેડૂતોને રવી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાયું હતું.પરંતુ પંથક વિસ્તારના નવા કોલીખડથી શીણોલ રોડ પાસેથી પસાર થતી માઝુમ કેનાલમાં અચાનક લીકેજ સર્જાતાં હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. જયારે કેનાલ પાસેના ખેતરમાં ભારે પાણી ભરાતાં આ ખેડૂતને વાવેતરમાં નુકશાની વેઠવાનો વારો આવતાં જ રોષ ફેલાયો હતો.

ગત વર્ષ મેઘરાજા જિલ્લામાં મન મૂકી વરસ્યા નથી.સરેરાશ વરસાદમાં ૩૭ ટકાની ઘટ વર્તાઈ રહી છે. નદી,નાળાં હવે સૂકાભઠ્ઠ બન્યા છે  અને જિલ્લાના જળાશયોમાં રહેલો અપૂરતા પાણીના જથ્થાને સિંચાઈમાં ફાળવવા સાથે સાથે જુથ યોજનાના ગામોને પીવાનું પાણી પુરૃ પાડવા રીઝર્વ રાખવાનો વારો આવી રહયો છે. છતાં તંત્રની ઘોર બેદરકારી વચ્ચે કેટલાય સ્થળોએ અમૂલ્ય ગણાતા પાણીનો સરેઆમ વેડફાટ કરાઈ રહયો છે. જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા મોડાસા-ધનસુરા પંથકમાં ખેડૂતોની માંગ બાદ તાજેતરમાં માઝુમ કેનાલમાં ત્રીજુ પાણી છોડાયું હતું. પરંતુ પંથકના નવા કોલીખડથી શીણોલ રોડ વચ્ચેથી પસાર થતી કેનાલની બંને સાઈડે લીકેજ સર્જાતાં હજારો લીટર પાણી વેડફાયું હતું.કેનાલના આ ભારે પાણી પાસેના ખેતરમાં ફરી વળતાં ખેડૂતને વાવેતર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સંલગ્ન તંત્ર દ્વારા સમયાંતરે કેનાલોની સાફ સફાઈ કે મરામત હાથ નહી ધરાતી હોવાને લઈ આવા ગાબડું પડવાના કે કેનાલ લીકેજ થવાના બનાવોમાં હજારો લીટર પાણી સરેઆમ વેડફાતું હોવાની ફરીયાદ રોષ ભેર ઉઠી હતી. અને આ મામલે જરૃરી તપાસ હાથ ધરાય તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરાઈ હતી.