Gujarat

વાત્રક જળાશયના ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાયું

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
વાત્રક જળાશયના ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાયું

મોડાસા,તા.14

અરવલ્લી જિલ્લાના વાત્રક જળાયશમાંથી ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા ૪૦ કયુસેક પાણી છોડાયું હતું.આ પાંચમાં રાઉન્ડના પાણીથી પંથકના ૫૦૦૦ હેકટર વાવેતરમાં જરૂરી સિંચાઈનો લાભ મળી રહેશે.

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઓછા વરસાદથી ઉનાળા દરમ્યાન પાણીની તંગી સર્જાવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.જોકે જિલ્લામાં નોંધાયેલ ૬૩ ટકા સરેરાશ વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં રાહત પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોઈ રાહત વર્તાઈ હતી. પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા જુથ જળાશય યોજના હેઠળ ગામડાઓને પુરૂ પડાતું પીવાનું પાણી, મોડાસા નગરને માઝુમ જળાશયમાંથી રોજનું અપાતું ૧ કરોડ લીટર પાણી ઉપરાંત રવિ વાવેતર માટે ખેડૂતોને પિયપ પાણી પુરૂ પડાતાં હવે જિલ્લાના ૪ જળાશયોમાં સરેરાશ ૫૦ ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો હોઈ ઉનાળામાં પાણીની તંગી સર્જાશે એમ મનાઈ રહયું છે.ત્યારે ખેડૂતોને રવિ વાવેતરમાં જરૂરી સિંચાઈનો લાભ પૂરો પડાય તેવા હેતુથી વાત્રક જળાશયની ડાબા કાંઠાની કેનાલમાં ૪૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.આ પાણીથી પંથકના ૫૦૦૦ હેકટર વાવેતરને સિંચાઈનો લાભ મળી રહેશે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાત્રક જળાશય દ્વારા રવિ સીઝનમાં છોડવામાં આવતા પાણીથી પંથકના ૪ હજાર ખેડૂતોને લાભ મળી રહે છે. જયારે આ પાંચમા એટલે કે છેલ્લા રાઉન્ડના પાણીનો લાભ પંથકના ખેડૂતો ને ૩૦ દિવસ  સુધી મળી રહેશે એમ જણાવાયું હતું.હાલ જિલ્લાના માઝુમ જળાશયમાં ૪૫ ટકા,મેશ્વો જળાશયમાં ૪૧ ટકા,વૈડી જળાશયમાં ૫૮ ટકા વાત્રક જળાશયમાં ૨૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું.