અમરેલીના સાવરકુંડલાની બેકરી અને કોલ્ડ્રિંક્સ પાર્લરમાંથી પ્રતિબંધિત એનાલોગ પનીર ઝડપાયું, શંકાસ્પદ જથ્થો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Savarkundla Banned Analog Paneer Raid, Amreli News: લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં નકલી અને પ્રતિબંધિત ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે અમરેલી SOG પોલીસે લાલ આંખ કરી છે. અમરેલી અને લાઠી બાદ હવે સાવરકુંડલા શહેરમાં પણ SOG પોલીસે દરોડા પાડીને પ્રતિબંધિત એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
જલારામ બેકરી અને ઈલોરા કોલ્ડ્રિંક્સમાં અચાનક ચેકિંગ
પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સાવરકુંડલામાં પ્રતિબંધિત એનાલોગ પનીરનો ઉપયોગ કરીને વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આ બાતમીના આધારે SOGની ટીમે ફૂડ ઍન્ડ સેફ્ટી અધિકારીઓને સાથે રાખીને સાવરકુંડલા સ્થિત ‘જલારામ બેકરી’ અને ‘ઈલોરા કોલ્ડ્રિંક્સ’ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન આ બંને સ્થળોએથી આશરે 8 કિલો જેટલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા
ફૂડ ઍન્ડ સેફ્ટી વિભાગની ટીમે તાત્કાલિક અસરથી મળેલા શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો અને કાયદેસરના સેમ્પલ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. માનવ શરીર માટે હાનિકારક એવા આ એનાલોગ પનીરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણ સપ્લાય કરતું હતું તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.
અમરેલી અને લાઠી બાદ સાવરકુંડલામાં સફળ દરોડો
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલી શહેર અને લાઠીમાંથી પણ પોલીસે સફળતાપૂર્વક શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો. હવે સાવરકુંડલામાંથી પણ એનાલોગ પનીરનો જથ્થો ઝડપાતા સમગ્ર અમરેલી જિલ્લાના ખાદ્યપદાર્થોના વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.









