દેશની પ્રથમ બુલેટ ટ્રેન સામે અડચણ, 40000 કરોડનું ભારણ વધતાં કંપનીએ હાથ અધ્ધર કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai-Ahmedabad Bullet Train Project in Trouble ₹40000 Crore Compensation Dispute Hits High Courtભારતના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જમીન સંપાદનના વળતરને લઈને એક નવો મોટો પડકાર આવી ઊભો રહ્યો છે. આ પ્રોજેક્ટના મુખ્ય પ્રબંધકે હવે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમની અરજી અનુસાર, જો જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન સત્તામંડળ(LARRA) દ્વારા નક્કી કરાયેલું વધેલું વળતર ચૂકવવામાં આવે, તો પ્રોજેક્ટ પર આશરે ₹40,000 કરોડનો વધારાનો બોજ પડી શકે છે, જેનાથી ₹1.10 લાખ કરોડના આ આખા પ્રોજેક્ટનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે તેમ છે.
હાઇકોર્ટમાં રાજ્યના એડવોકેટ જનરલની ગંભીર રજૂઆત
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે LARRA દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વળતરના આદેશોમાં જે સુધારો કરવામાં આવ્યો છે, તેનાથી પ્રોજેક્ટના ખર્ચમાં બહુ મોટો વધારો થશે. તેમણે અદાલત સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 'જો આ વધારાનું આર્થિક ભારણ પ્રોજેક્ટ પર નાખવામાં આવશે, તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધવો મુશ્કેલ બની જશે.'
વળતરની રકમ પર કોર્ટનો સવાલ
હાઇકોર્ટે હાલમાં સુરત અને ભરૂચ જિલ્લા સાથે જોડાયેલા 3 કેસમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મેનેજમેન્ટની અપીલ સ્વીકારી લીધી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટના રોજ થવાની છે, જેમાં અદાલત LARRAના આદેશ પર વચગાળાની રોક લગાવવી કે નહીં તે અંગે નિર્ણય કરી શકે છે. આ સાથે જ કોર્ટે પ્રોજેક્ટ ઓથોરિટીને એ પણ પૂછ્યું છે કે તેઓ વળતરની રકમમાંથી કેટલા પૈસા જમા કરાવવા માટે તૈયાર છે.
શું છે આખો વિવાદ?
આ વિવાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓચ્છન ગામની જમીન સાથે જોડાયેલો છે. વર્ષ 2018માં આ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 2020માં અધિકારીઓએ વળતરની રકમ 50 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરી હતી, જેના આધારે એક જમીન માલિકને આશરે 85.8 લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું. જોકે, જમીન માલિકે વળતર વધારવાની માંગણી કરતા LARRAએ આ દર વધારીને 660 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરી દીધો, જેનાથી તે જમીનનું કુલ વળતર સીધું વધીને આશરે 8.4 કરોડ રૂપિયા થઈ ગયું.
પ્રોજેક્ટ ઓથોરિટીની દલીલ
બુલેટ ટ્રેન ઓથોરિટીનો આરોપ છે કે LARRAએ વળતર નક્કી કરતી વખતે આસપાસના નજીકના ગામોની જમીનની કિંમતોને ધ્યાનમાં લીધી નથી, પરંતુ 14 કિલોમીટર દૂર આવેલા સિમાર્થા ગામના જમીન વેચાણના દરને આધાર બનાવ્યો છે, જે બિલકુલ યોગ્ય નથી. વહીવટીતંત્રની દલીલ છે કે વળતર હંમેશા આસપાસની સમાન જમીનના સરેરાશ બજાર મૂલ્યના આધારે જ નક્કી થવું જોઈએ. એડવોકેટ જનરલના જણાવ્યા મુજબ, જો આ વળતર ચૂકવવું પડે તો વ્યાજ ઉમેર્યા પછી પ્રોજેક્ટ પર આશરે 40,000 કરોડ રૂપિયાનું વધારાનું નાણાકીય ભારણ આવી શકે છે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત ગંભીર બાબત છે.









