Ahmedabad

ગુજરાતમાં હૃદયરોગના કેસ ચિંતાજનક સ્તરે, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દી, 26% માત્ર અમદાવાદમાં

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હૃદયરોગના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં 53226 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે ગત વર્ષ કરતાં 15.36% વધુ છે. અમદાવાદમાં જ 13760 કેસ નોંધાયા, જે કુલ કેસોના 26% છે. દરરોજ સરેરાશ 294 લોકોને 108ની જરૂર પડે છે. ડોકટરો 17 વર્ષથી વધુ વયના લોકોને નિયમિત ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં હૃદયરોગના કેસ ચિંતાજનક સ્તરે, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દી, 26% માત્ર અમદાવાદમાં

Ahmedabad News : ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં જ હૃદયની સમસ્યાના 53226 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ગયા વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની ઈમરજન્સીના 48141 કેસ હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 15.36 ટકાનો વધારો થયો છે.

ગુજરાતમાં દરરોજ 294 લોકો હૃદયના રોગથી પીડાય છે

ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ 294 વ્યક્તિને હૃદયની સારવાર માટે '108' ની જરૂર પડે છે. આ સ્થિતિ બરકરાર રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ 1.07 લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 26 ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.

અમદાવાદમાં 6 મહિનામા 13760 કેસ

અમદાવાદમાં આ વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની સમસ્યાના 13760 કેસ નોંધાઈ ચૂક્યા છે. '108' માં આવતા હૃદયની સમસ્યાના ચારમાંથી 1 કોલ્સ માત્ર અમદાવાદમાંથી હોય છે તેમ કહી શકાય. અન્યત્ર જ્યાં વધારે કેસ નોંધાયા છે તેમાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા જ્યારે વડોદરા પાંચમાં સ્થાને છે. સરેરાશની રીતે જ્યાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં બોટાદ 48.16 ટકા સાથે મોખરે છે જ્યાં 2025માં 272 જ્યારે 2026માં 403 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2024માં હૃદયની ઈમરજન્સીના 84738 કેસ નોંધાયા હતા.

ચિંતાજનક રીતે કેસમાં વધારો

બે વર્ષ અગાઉ દરરોજ સરેરાશ 232 વ્યક્તિને હૃદયની સારવાર માટે ઈમરજન્સીની જરૂર પડતી હતી. ડૉક્ટરોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હૃદયની સમસ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વખત કોઈ લક્ષણો નહીં હોવા છતાં અચાનક જ હૃદયરોગનો હુમલો આવે છે. હૃદયરોગના સહેજ પણ લક્ષણો જણાય તો તાકીદે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

17થી વધુ વયની વ્યક્તિએ નિયમિત ટેસ્ટ કરાવવો જોઈએ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપ અનુસાર એક ખ્યાતનામ ડૉક્ટરના મતે હવે સમય બદલાઈ રહ્યો છે તેમ 17 વર્ષથી વધુ વયની વ્યક્તિએ હૃદયમાં બ્લોકેજ છે કે કેમ તે ચકાસવા નિયમિત રીતે ટેસ્ટ કરાવવો જોઈએ. જેમાં બેઝિક પેનલ, બ્લડ ટેસ્ટ, ઈસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક સીટી સ્કેનનો સમાવેશ થાય છે. હૃદયરોગના 50 ટકા કેસમાં અગાઉથી કોઈ લક્ષણ જોવા મળતા નથી. ઘણી વખત કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરતી હોય, ખાવા-પીવાનું પણ નિયમિત હોય તેમ છતાં તેને હૃદયમાં પણ બ્લોકેજ હોઈ શકે છે.

ગુજરાતમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કેસ

જિલ્લો
2025
2026
વધારો
અમદાવાદ
13,292
13,760
3.52%
સુરત
3,754
4,014
6.93%
રાજકોટ
2,912
3,142
7.90%
ભાવનગર
2,421
2,873
18.67%
વડોદરા
2,468
2,636
6.81%
જૂનાગઢ
1,671
1,933
15.68%
જામનગર
1,507
1,839
22.03%
ગાંધીનગર
1,298
1,469
13.17%
કચ્છ
1,081
1,467
35.71%
અમરેલી
1,207
1,457
20.71%
રાજ્યમાં કુલ
48,141
53,226
10.36%