ગુજરાતમાં હૃદયરોગના કેસ ચિંતાજનક સ્તરે, 6 મહિનામાં 53 હજારથી વધુ દર્દી, 26% માત્ર અમદાવાદમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 6 મહિનામાં જ હૃદયની સમસ્યાના 53226 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ગયા વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની ઈમરજન્સીના 48141 કેસ હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં 15.36 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં દરરોજ 294 લોકો હૃદયના રોગથી પીડાય છે
ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ 294 વ્યક્તિને હૃદયની સારવાર માટે '108' ની જરૂર પડે છે. આ સ્થિતિ બરકરાર રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ 1.07 લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 26 ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.
અમદાવાદમાં 6 મહિનામા 13760 કેસ
અમદાવાદમાં આ વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની સમસ્યાના 13760 કેસ નોંધાઈ ચૂક્યા છે. '108' માં આવતા હૃદયની સમસ્યાના ચારમાંથી 1 કોલ્સ માત્ર અમદાવાદમાંથી હોય છે તેમ કહી શકાય. અન્યત્ર જ્યાં વધારે કેસ નોંધાયા છે તેમાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા જ્યારે વડોદરા પાંચમાં સ્થાને છે. સરેરાશની રીતે જ્યાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં બોટાદ 48.16 ટકા સાથે મોખરે છે જ્યાં 2025માં 272 જ્યારે 2026માં 403 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2024માં હૃદયની ઈમરજન્સીના 84738 કેસ નોંધાયા હતા.
ચિંતાજનક રીતે કેસમાં વધારો
બે વર્ષ અગાઉ દરરોજ સરેરાશ 232 વ્યક્તિને હૃદયની સારવાર માટે ઈમરજન્સીની જરૂર પડતી હતી. ડૉક્ટરોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હૃદયની સમસ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વખત કોઈ લક્ષણો નહીં હોવા છતાં અચાનક જ હૃદયરોગનો હુમલો આવે છે. હૃદયરોગના સહેજ પણ લક્ષણો જણાય તો તાકીદે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
17થી વધુ વયની વ્યક્તિએ નિયમિત ટેસ્ટ કરાવવો જોઈએ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ક્લિપ અનુસાર એક ખ્યાતનામ ડૉક્ટરના મતે હવે સમય બદલાઈ રહ્યો છે તેમ 17 વર્ષથી વધુ વયની વ્યક્તિએ હૃદયમાં બ્લોકેજ છે કે કેમ તે ચકાસવા નિયમિત રીતે ટેસ્ટ કરાવવો જોઈએ. જેમાં બેઝિક પેનલ, બ્લડ ટેસ્ટ, ઈસીજી, ઇકોકાર્ડિયોગ્રામ, કાર્ડિયાક સીટી સ્કેનનો સમાવેશ થાય છે. હૃદયરોગના 50 ટકા કેસમાં અગાઉથી કોઈ લક્ષણ જોવા મળતા નથી. ઘણી વખત કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરતી હોય, ખાવા-પીવાનું પણ નિયમિત હોય તેમ છતાં તેને હૃદયમાં પણ બ્લોકેજ હોઈ શકે છે.
ગુજરાતમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કેસ
જિલ્લો | 2025 | 2026 | વધારો |
અમદાવાદ | 13,292 | 13,760 | 3.52% |
સુરત | 3,754 | 4,014 | 6.93% |
રાજકોટ | 2,912 | 3,142 | 7.90% |
ભાવનગર | 2,421 | 2,873 | 18.67% |
વડોદરા | 2,468 | 2,636 | 6.81% |
જૂનાગઢ | 1,671 | 1,933 | 15.68% |
જામનગર | 1,507 | 1,839 | 22.03% |
ગાંધીનગર | 1,298 | 1,469 | 13.17% |
કચ્છ | 1,081 | 1,467 | 35.71% |
અમરેલી | 1,207 | 1,457 | 20.71% |
રાજ્યમાં કુલ | 48,141 | 53,226 | 10.36% |









