4 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ભારે વરસાદની કોઈ શક્યતા નહીં! જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં મહદંશે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 26 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો વિવિધ વિસ્તારોમાં અસમાન વરસાદ જોવા મળ્યો છે. જેમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે તેની સામે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ અસમાનતાને પગલે, સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદમાં હજુ પણ સામાન્ય કરતા 4 ટકાની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, 22 ઓગસ્ટે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર જે લો પ્રેશર એરિયા હતો તે હવે નબળો પડી ગયો છે, પરંતુ તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજી પણ સક્રિય છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના પડોશી વિસ્તારોમાં એક નવું લો પ્રેશર એરિયા બન્યું છે અને તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.
રાજ્યમાં સાત દિવસ હળવા વરસાદની શક્યતા
જ્યારે એક મોન્સૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે, જે અમૃતસરથી શરૂ થઈને દેવગઢ થઈને બંગાળની ખાડી સુધી જાય છે. આ ઉપરાંત, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે જેની પોઝિશન 60 ડિગ્રી પૂર્વ પર છે. આ સિસ્ટમ્સના પ્રભાવને કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને ગુજરાત રિજિયનમાં થોડી વધારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડી ઓછી વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે, જ્યાં છૂટાછવાયા વરસાદની જ અપેક્ષા રાખી શકાય છે.
માછીમારો માટે કોઈ ચેતવણી નહીં
વર્તમાન પરિસ્થિતિને જોતાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ કે પવન અંગે કોઈ ચેતવણી આપવાની સંભાવના નથી. જો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની વાત કરું તો, પવનો અત્યારે દક્ષિણ-પશ્ચિમી દિશાના ચાલી રહ્યા છે અને પ્રેશર ગ્રેડિએન્ટના કારણે તેમની ઝડપ પહેલાની જેમ જ થોડી વધારે છે, એટલે કે 15 થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સની આસપાસ પવન ફૂંકાઈ રહ્યો છે. તેવામાં માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
અમદાવાદમાં વાદળછાયું આકાશ રહેશે
જો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ વિશે વાત કરું તો, 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં લગભગ 13% વધુ વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 26% ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આ સિઝનમાં કુલ વરસાદ અત્યાર સુધી સરેરાશ 4% ઓછો રહ્યો છે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ 32% ઓછો થયો છે અને ગુજરાત રિજિયનમાં 14% ઓછો રહ્યો છે. એકંદરે જોઈએ તો, ઓગસ્ટ દરમિયાન આખા રાજ્યમાં સામાન્ય કરતાં 20% ઓછો વરસાદ વરસી ચૂક્યો છે, જે શનિવાર(22 ઓગસ્ટ, 2026) સુધીના જ આંકડા છે. જ્યારે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું આકાશ રહેશે, તેવામાં વરસાદી ઝાપટું પડી શકે છે.









