ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતાં 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ, ખેડૂતો માટે રાહતની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગે ધરતીપુત્રો માટે મોટા રાહતના સમાચાર આપ્યા છે. IMD અનુસાર, રાજ્યમાં ચોમાસું ફરી જામવા જઈ રહ્યું છે, જેમાં મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને આગામી દિવસમાં સક્રિય થનાર લો-પ્રેશર એમ એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાને પગલે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની વકી છે. 12 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની શરૂઆત થશે, જે ખેતીના પાક માટે સંજીવની સમાન સાબિત થશે.
ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ, વરસાદનું વધુ જોર 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરમાં વ્યાપક બનશે. 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 14 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદનું જોર યથાવત્ રહેશે. આ વરસાદી સ્પેલથી રાજ્યમાં પ્રવર્તતી વરસાદની ઘટ પુરાવાની પૂરી શક્યતા છે.
ગુજરાતમાં હજુ 19 ટકા વરસાદની ઘટ
આ અંગે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટરે જણાવ્યું કે, આગામી 9થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. 12 સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તથા દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરે આ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ ઉમેરાશે, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની શક્યતા છે. વરસાદની વર્તમાન સ્થિતિ અંગે વાત કરું તો ગુજરાતમાં અત્યાર સુધી 515.7 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 639.1 મિ.મી.ની સરખામણીએ 19% ઓછો છે.
એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન સિસ્ટમ વિશે જણાવ્યું કે, ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના તટીય વિસ્તાર પર 5.8 કિ.મી.ની ઊંચાઈ સુધી ફેલાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જે 10 સપ્ટેમ્બર સુધીમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ પર 5.8 કિ.મી.થી 7.6 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે પણ એક અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને મોન્સૂન ટ્રફ જમ્મુ, દહેરાદૂન, પંતનગર, બસ્તી, છાપરા, પુરુલિયા અને દીઘા થઈને પસાર થઈ રહ્યું છે.
માછીમારો માટે ખાસ ચેતવણી
દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો 15થી 20 નોટ્સ અને ગસ્ટિંગ 25 નોટ્સ સુધી ફૂંકાઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે 30થી 40 કિ.મી./કલાકની ગતિથી પવન ફૂંકાવવાની અને ગસ્ટિંગ સ્પીડ 50 કિ.મી./કલાક સુધી પહોંચવાની શક્યતા હોવાથી ખાસ ચેતવણી આપવામાં આવી છે.







