Ahmedabad

લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત ગુજરાતમાં સોશિયલ મીડિયાનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારી મેન્ટલ હોસ્પિટલમાં આવા દર્દીઓમાં 650% નો વધારો થયો છે. 2021-22માં 116 દર્દીઓથી વધીને 2025-26માં 861 થયા છે. રીલ્સ બનાવવા માટે વિદ્યાર્થીઓ જીવ પણ ગુમાવી રહ્યા છે, જે ગંભીર બાબત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાઇક્સ અને ફોલોઅર્સ ન વધ્યા તો ડિપ્રેશન! ગુજરાતમાં સોશિયલ મીડિયા 'વળગણ' ધરાવતા દર્દીની સંખ્યામાં 650 ટકાનો વધારો

Social Media Addiction: આજના સમયમાં ભાગ્યે જ કોઈનો એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ ના હોય. દૂર રહેતા સ્વજન-મિત્રથી જીવંત સંપર્કમાં રહેવાના હેતું સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે. પરંતુ હવે આ જ સોશિયલ મીડિયા 'બેધારી તલવાર' સમાન બની ગયું છે. સોશિયલ મીડિયાના વળગણને કારણે મનોચિકિત્સકના કાઉન્સિલિંગની જરૂર પડે તેવા દર્દીઓમાં પાંચ વર્ષમાં 650 ટકાનો વધારો થયો છે.

સરકારી હોસ્પિટલમાં આંકડો 116થી સીધો 861 પર પહોંચ્યો

દર વર્ષે 30મી જૂનની ઉજવણી 'સોશિયલ મીડિયા દિવસ' તરીકે કરવામાં આવે છે. સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ડીએડિક્શન સેન્ટરની જ વાત કરવામાં આવે તો તેમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2021-22માં 116 દર્દીઓ ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં આવતા હતા અને તે સંખ્યા 2025-26માં વધીને 861 થઈ ગઈ છે. આ તો માત્ર સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલનો આંકડો છે.

ગુજરાતના 40% યુવાનો સોશિયલ મીડિયાના સકંજામાં

ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી પણ વધી શકે છે. ડીએડિક્શન સેન્ટરમાં આવનારા દર્દીઓ મોબાઈલના વળગણને કારણે સતત ગુસ્સો આવવો, ચીડિયાપણું, અધીરાપણું આવી જવું વિવિધ સમસ્યા ધરાવે છે. સોશિયલ મીડિયાના વળગણ માટે આવતા દર્દીઓ કિશોર કે યુવાન વયના જ નહીં વૃદ્ધો પણ હોય છે. આ દર્દીઓને થોડા-થડા સમયના અંતરે સોશિયલ મીડિયા નહીં મળવાથી બેચેની થવા લાગે છે. આ દર્દીઓને મનોચિકિત્સકોના વિવિધ સેશનથી તેમને સારવાર અપાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 40 ટકા યુવાનો દરરોજ સરેરાશ 2-4 કલાક સોશિયલ મીડિયા પાછળ ફાળવે છે. આ પ્રમાણમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

બાળકને રીલ બનાવતા જોઈ માતા-પિતા ગર્વ અનુભવે તે ચિંતાજનક

નાનકડું બાળક રીલ બનાવવા લાગે તો માતા-પિતા તે જોઈને ગર્વ અનુભવે છે. પરંતુ આ બાબત જોઈને ચિંતા થવી જોઈએ. આ જ બાળક રીલ્સમાં ઓછી લાઈક્સ-ફોલોઅર્સ નહીં મળવાથી આગામી દિવસોમાં ડિપ્રેશનનું દર્દી બની જાય તો પણ નવાઈ નહીં. નાનું બાળક ભોજન ના લેતું હોય તો માતા-પિતા તેના હાથમાં મોબાઇલ પકડાવી દેતા હોય છે. અહીંથી જ તેનામાં સોશિયલ મીડિયાનું વળગણ થવાના બીજ મોટાભાગના કિસ્સામાં રોપાતું હોય છે. માતા-પિતા જ મોબાઇલનો ઓછો ઉપયોગ કરશે તો આપોઆપ બાળકમાં પણ તેની આદત નહીં પડે.

સોશિયલ મીડિયા વળગણના ચોંકાવનારા કિસ્સા

•અમદાવાદની નર્સિંગની વિદ્યાર્થિની દરરોજ 12 કલાક સુધી રીલ્સ જોતી હતી. પરીક્ષા નજીક આવી રહી હતી અને તેની તૈયારી શૂન્ય હતી. આ સ્થિતિમાં પરીક્ષા આપવાનું ટાળવા તેણે ઈરાદાપૂર્વક પોતાના જ જમણા હાથે ઈજા પહોંચાડી, ફ્રેક્ચર કર્યું હતું. આ પછી તેને માનસિક આરોગ્ય કેન્દ્રમાં કાઉન્સિલિંગ માટે લઈ જવી પડી હતી.
•અમદાવાદમાં 15 વર્ષનો વિદ્યાર્થી માલગાડી પર ચઢીને રીલ બનાવી રહ્યો હતો. ઉપરની હાઈ-વોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવવાથી તેનું મૃત્યુ થયું હતું.
•16 વર્ષનો કિશોર ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધે માટે નકલી ફાંસીનો વીડિયો બનાવી રહ્યો હતો. સ્ટન્ટ દરમિયાન ખરેખર ગળાફાંસો લાગી ગયો અને તેનું મૃત્યુ થયું હતું.
•181 અભયમ્ હેલ્પલાઈનના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન સરેરાશ ૧ કોલ મોબાઇલ અથવા સ્ક્રીન સંબંધિત મળતો હોવાનું નોંધાયું હતું. જેમાં મોટાભાગના કોલમાં માતા-પિતા બાળકોના અતિશય મોબાઇલ ઉપયોગ, ગુસ્સો, ઊંઘની સમસ્યા, અભ્યાસમાં ઘટાડા અંગે મદદ માંગતા હતા.

20260630-6a42c9f5ad1f279765703-30062026_AHM-2.jpg

મોબાઇલના વ્યસનના લક્ષણો

•સતત મોબાઇલ ચેક કરવાની ઇચ્છા.
•ચિંતા અને બેચેની.
•ઊંઘમાં ઘટાડો.
•ગુસ્સો અને ચીડિયાપણું.
•અભ્યાસ અથવા નોકરીમાં ધ્યાન નહીં રહેવું. એકાગ્રતાનો અભાવ.
•પરિવાર સાથે ઝગડા વધવા.