અમદાવાદમાં અંજલી ચાર રસ્તા પાસે બસ-બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક એસટી (ST) બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક રોડ પર નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
અકસ્માતની જાણ થતાં જ પાલડી પોલીસ અને ટ્રાફિક પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને રોડ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
આ મામલે N ડિવિઝન ટ્રાફિક પોલીસના PI એ જણાવ્યું કે, બપોરે લગભગ 12:00 વાગ્યાની આસપાસ અંજલી ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની હતી, જેમાં એક આશરે 40 વર્ષના યુવકનું મોત થયું છે. આ અકસ્માત કઈ પરિસ્થિતિમાં અને કોની બેદરકારીથી થયો તે સચોટ રીતે જાણવા માટે પોલીસ અત્યારે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. હાલ પોલીસ મથકે ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે.









