Ahmedabad

અમદાવાદ સ્ટેશનને બાયપાસ કરીને દોડશે ટ્રેનો: સાબરમતી-સરખેજ ડબલિંગ અને ગેરતપુર-સાણંદમાં ચોથી લાઇન, વસ્ત્રાપુર સ્ટેશન પણ ખસેડાશે

By GS Team
4 Sep 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે અમદાવાદના ટ્રાફિક ઘટાડવા ₹1,275 કરોડના ખર્ચે 2 મહત્ત્વના પ્રોજેક્ટ હાથ ધરશે. સાબરમતી-સરખેજ ડબલિંગ (21 કિમી) અને ગેરતપુર-સાણંદ 4થી લાઇનથી મુંબઈથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જતી ટ્રેનો સીધી વાયા વિરમગામ જઈ શકશે. આનાથી કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે, પ્લેટફોર્મની ઉપલબ્ધતા વધશે અને ધોલેરા-સાણંદની કનેક્ટિવિટી મજબૂત બનશે. વસ્ત્રાપુર સ્ટેશન વેજલપુર ખસેડાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સ્ટેશનને બાયપાસ કરીને દોડશે ટ્રેનો: સાબરમતી-સરખેજ ડબલિંગ અને ગેરતપુર-સાણંદમાં ચોથી લાઇન, વસ્ત્રાપુર સ્ટેશન પણ ખસેડાશે

Ahmedabad Railway Bypass: Sabarmati-Sarkhej Doubling & Geratpur-Sanand 4th Line | પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ શહેરના વધતા ટ્રાફિક અને ભવિષ્યમાં ધોલેરા તરફ વધનારી ઔદ્યોગિક અને પેસેન્જર ટ્રેનોને ધ્યાનમાં રાખીને શહેરની આસપાસ એક મજબૂત ‘ડાયવર્ઝન નેટવર્ક’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ₹1,275 કરોડના સંયુક્ત ખર્ચે શરૂ થયેલા આ બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ અમદાવાદના રેલવે ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન લાવશે.

મુંબઈથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જતી ટ્રેનો માટે અમદાવાદ બાયપાસનો વિકલ્પ

હાલની પરિસ્થિતિમાં મુંબઈ તરફથી આવતી અને ત્યારબાદ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત તરફ જતી મોટાભાગની ટ્રેનોને અમદાવાદના અત્યંત વ્યસ્ત રેલવે કોરિડોરમાંથી ફરજિયાતપણે પસાર થવું પડે છે. આ કારણે ટ્રેનોનો સમય બગડે છે અને શહેરના મુખ્ય ટ્રેક પર પણ દબાણ વધે છે. ગેરતપુર-સાણંદ વચ્ચે વધારાની ચોથી લાઇન તૈયાર થવાથી ઓપરેશનલ રીતે યોગ્ય હોય તેવી ટ્રેનોને ગેરતપુરથી સીધી સાણંદ તરફ ડાયવર્ટ કરી શકાશે. ત્યાંથી વાયા વિરમગામ થઈને આ ટ્રેનો અમદાવાદ સ્ટેશનમાં પ્રવેશ્યા વિના જ સીધી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી શકશે, જેનાથી કાલુપુર સ્ટેશન પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે.

પ્લેટફોર્મની અછત અને આઉટરમાં રોકાતી ટ્રેનોની સમસ્યાનો ઉકેલ

અમદાવાદ જંક્શન પર એકસાથે અનેક ટ્રેનોની અવરજવરને કારણે પ્લેટફોર્મ ઓક્યુપન્સી, ટ્રેન ક્રોસિંગ અને રૂટ ઉપલબ્ધતાનું ભારે દબાણ રહે છે. ઘણીવાર પ્લેટફોર્મ ખાલી ન હોવાથી બહારથી આવતી મહત્વની ટ્રેનોને સિગ્નલ પર રોકી રાખવી પડે છે.

બાયપાસ રૂટ મળવાથી:

  • અમદાવાદ જંક્શન પર ટ્રેનોના પ્રવેશ અને પ્રસ્થાનનું ભારણ ઘટશે.
  • પ્લેટફોર્મ વધુ સમય માટે લોકલ અને ટર્મિનેટિંગ ટ્રેનો માટે ઉપલબ્ધ રહેશે.
  • ટ્રેનોને પ્લેટફોર્મ મેળવવા માટે આઉટરમાં થતો વિલંબ નાબૂદ થશે.
  • લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનો માટે વૈકલ્પિક ઝડપી રૂટ મળી રહેશે.

સાબરમતી-સરખેજ ડબલિંગથી પશ્ચિમ અમદાવાદ અને ધોલેરા કનેક્ટિવિટી મજબૂત થશે

સાબરમતી ડી કેબિનથી સરખેજ સુધીનો 21 કિમીનો રેલવે ટ્રેક હાલ સિંગલ લાઇન હોવાથી ટ્રેનોના સંચાલનમાં વારંવાર ક્રોસિંગની મર્યાદાઓ નડતી હતી. ₹313 કરોડના ખર્ચે હાલની લાઇનની સમાંતર નવો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે. ડબલિંગ પૂર્ણ થયા બાદ બંને દિશામાં ટ્રેનોને અલગ-અલગ ટ્રેક મળવાથી સમયની મોટી બચત થશે.

આ કોરિડોર ભવિષ્યના વૈશ્વિક રોકાણ હબ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે. સરખેજથી આગળ ધોલેરા તરફ વિકસાવવામાં આવનારા નવા રેલ કોરિડોર સાથે જોડાઈને આ લાઇન અમદાવાદ તરફથી ધોલેરા પહોંચવા માટેની સૌથી મહત્વની કડી બનશે.

વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નવી જગ્યાએ ખસેડાશે

ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને વર્તમાન જગ્યાએથી ખસેડીને વેજલપુર ઓવરબ્રિજ નજીક સ્થાપિત કરવાની યોજના છે. આ નવા સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે.

  • આશરે 300 થી 350 મીટર લાંબા આધુનિક પ્લેટફોર્મ
  • પેસેન્જરો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા અને પ્લેટફોર્મ શેડ
  • શુદ્ધ પીવાનું પાણી અને આધુનિક શૌચાલય સુવિધાઓ
  • કમ્પ્યુટરાઈઝ્ડ બુકિંગ વિન્ડોઝ

આ સમગ્ર માળખું પૂર્ણ થવાથી માત્ર પેસેન્જર ટ્રેનો જ નહીં, પરંતુ માલગાડીઓના સંચાલનમાં પણ મોટો ઉછાળો આવશે. સાણંદ ઓટોમોબાઇલ અને સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે, જ્યારે ધોલેરા સ્માર્ટ સિટી ઔદ્યોગિક ગતિ પકડી રહ્યું છે. આ બંને વિસ્તારોમાંથી દેશના વિવિધ ભાગોમાં માલસામાન પહોંચાડવા માટે માલગાડીઓને ઝડપી અને અડચણમુક્ત નેટવર્ક મળશે.