અમદાવાદ: નવરંગપુરામાં સરકારી હોર્ડિંગ પર PM મોદીના પોસ્ટર પર વિવાદિત સ્ટીકર ચોંટાડતા પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ નવરંગપુરામાં રેલવે ફાટક નજીક આવેલા એક સરકારી હોર્ડિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતવાળા પોસ્ટર પર અજાણ્યા શખસો દ્વારા વિરોધ દર્શાવતા અને વિવાદાસ્પદ સૂત્રો લખેલા સ્ટીકર લગાવવાની ઘટના સામે આવી છે. આ અંગે હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે પહેલા તો આ પોસ્ટર હટાવી દીધું છે. એ પછી આ કૃત્ય કરનારની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવરંગપુરા રેલવે ફાટક નજીક આવેલા સાશ્વત બિલ્ડિંગની આગળના ભાગે કોર્નર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડરથી ભાડે આપવામાં આવેલું એક હોર્ડિંગ આવેલું છે. આ હોર્ડિંગનો ત્રણ વર્ષનો લીઝ કોન્ટ્રાક્ટ આંબાવાડી સ્થિત એક કંપની પાસે છે. પાંચમી ઓગસ્ટ 2026ના રોજ સાંજે અરસામાં કંપનીના ધ્યાન પર આવ્યું હતું કે હોર્ડિંગ પર લાગેલી પીએમ સૂર્યઘર યોજનાની સોલાર પેનલની જાહેરાતવાળા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટર પર કોઈએ વિરોધ કરતા વિવાદાસ્પદ સ્ટીકર ચોંટાડી દીધા છે. આ સ્ટીકરમાં વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે કંપનીના મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર,અજાણ્યા શખસોએ આ કૃત્ય કરતી વખતે સરકારી મિલકત સમાન હોર્ડિંગની ફ્રેમ, લાઈટિંગ અને અસલ પોસ્ટરને નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ફ્રેમ અને લાઈટિંગ અને ઓરિજિનલ પોસ્ટર સહિત કુલ 26,500 રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે અને આ કૃત્ય કોણે કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.









