Ahmedabad

અમદાવાદ: રથયાત્રામાં અભેદ્ય સુરક્ષા કવચ, ત્રણેય રથનું 35 ડ્રોન અને GPSથી લાઇવ મોનિટરિંગ

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16મી જુલાઈએ અષાઢી બીજે 149મી રથયાત્રા યોજાશે. સુરક્ષા માટે પોલીસ પ્રશાસન હાઇટેક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરશે. ખલાસીઓનું 'આધાર ઇનેબલ એપ' દ્વારા વેરિફિકેશન થશે અને બારકોડવાળા ઓળખપત્ર અપાશે. 35 ડ્રોન અને GPS સિસ્ટમ દ્વારા રથોનું લાઇવ મોનિટરિંગ થશે. દરેક રથ સાથે 1 DCP, 2 DySP, 2 PI સહિતનો પોલીસ કાફલો પગપાળા ચાલશે. પુશીંગ સ્ક્વોર્ડ દ્વારા રથોને કોર્ડન કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રથયાત્રામાં અભેદ્ય સુરક્ષા કવચ, ત્રણેય રથનું 35 ડ્રોન અને GPSથી લાઇવ મોનિટરિંગ

Ahmedabad Rath Yatra: આગામી 16મી જુલાઈના રોજ અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિભાવપૂર્વક યોજાવા જઈ રહી છે. આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને ચુસ્ત બનાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા અત્યાધુનિક હાઈટેક ટૅક્નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સલામતીના ભાગરૂપે આ વખતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના રથ ખેંચનારા તમામ ખલાસીઓનું 'આધાર ઇનેબલ એપ' દ્વારા વિશેષ વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મંદિર સત્તાધિશો તરફથી તેઓને વિશેષ બારકોડવાળા ઓળખપત્ર આપવામાં આવશે.

35 ડ્રોન અને GPS સિસ્ટમ દ્વારા લાઇવ મોનિટરિંગ

રથયાત્રાના સમગ્ર રૂટ અને ખાસ કરીને ત્રણેય રથોની સુરક્ષા માટે ટૅક્નોલૉજીનો સહારો લેવાશે. રથયાત્રામાં તહેનાત કુલ 100 ડ્રોનમાંથી 35 વિશેષ ડ્રોન અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS) દ્વારા રથોનું સતત લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ત્રણેય રથો સાથે કેમેરાવાન અને વાયરલેસ સેટની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે, જેથી કંટ્રોલ રૂમથી સીધી નજર રાખી શકાય.

દરેક રથ સાથે રહેશે ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો

ભગવાનના રથોની સુરક્ષા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
•રથની સુરક્ષાના મુખ્ય ઇન્ચાર્જ તરીકે 1 આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ(ASP) ફરજ બજાવશે અને તેમની મદદમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર(PI) હાજર રહેશે.
•રથની આગળ અને પાછળના ભાગે એક-એક DySP કક્ષાના અધિકારી તહેનાત રહેશે, જ્યારે રથની ડાબી અને જમણી બાજુએ એક-એક PI સુરક્ષાની કમાન સંભાળશે.
•સમગ્ર રીતે રથની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં 1 DCP, 2 DySP, 2 PI સહિતનો મોટો પોલીસ કાફલો સતત રથની સાથે પગપાળા ચાલશે.

પુશીંગ સ્ક્વોર્ડ દ્વારા રથનું કોર્ડનિંગ

રથયાત્રા દરમિયાન ભગવાનના રથોની આસપાસ ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. આ ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પુશીંગ સ્ક્વોર્ડના ખાસ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે. આ સ્ક્વોર્ડ દ્વારા રથની સુરક્ષા માટે તેને મજબૂત દોરડાથી કોર્ડન(કવર) કરવામાં આવશે, જેથી રથ સરળતાથી અને સુરક્ષિત રીતે આગળ વધી શકે.