અમદાવાદ: દાણીલીમડામાં બર્થ-ડે સેલિબ્રેશન લોહિયાળ બન્યો, જન્મદિવસે જ યુવક પર મિત્રએ જીવલેણ હુમલો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા બહેરામપુરાના કૃણાલ વાણીયા નામના યુવક પર તેના જ મિત્ર નીખિલ પરમારે છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવક લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યા બાદ પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે પીડિતની માતા ગીતાબહેન વાણીયાએ દાણીલીમડા પોલીસ મથકે નીખિલ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘરે પહોંચી લોહીલુહાણ પુત્ર બોલ્યો- ‘મમ્મી જો, નીખીલે મને છરી મારી દીધી’
મળતી માહિતી અનુસાર, બહેરામપુરા વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગર ખાતે રહેતા ગીતાબહેન વાણીયાએ દાણીલીમડા પોલીસ મથકે નીખિલ ઉર્ફે ગોગો પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કૃણાલનો જન્મદિવસ હોવાથી તે બપોરે મિત્રો સાથે સેલિબ્રેશન માટે ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન સાંજે કૃણાલ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઘરે પરત ફર્યો હતો.
પુત્રની આવી સ્થિતિ જોઈ ગભરાઈ ગયેલી માતાએ પૂછપરછ કરતાં કૃણાલે જણાવ્યું હતું કે, ‘મમ્મી, આ જો મને નીખીલે છરી મારી દીધી.’ પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




