રેલવે ભાડું, આધાર-પાન અને ક્રેડિટ કાર્ડ... જાણો 1 જુલાઈથી થતા નિયમોના ફેરફારથી ખિસ્સા પર કેટલો ભાર વધશે.

દેશમાં 1 જુલાઈ 2025થી ઘણાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. જેની અસર તમામ લોકોના ખિસ્સા, મુસાફરી અને રોજિંદા જીવન પર પડશે.

આધાર-પાન લિંકથી લઈને રેલવે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ નિયમો અને બેન્ક ચાર્જ સુધી, દરેક જગ્યાએ નવા નિયમો લાગુ થઈ રહ્યા છે.

1 જુલાઈથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના નિયમ મુજબ હવે નવું પાન કાર્ડ મેળવવા આધાર નંબર આપવો ફરજિયાત છે. તેમજ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આધાર પાન સાથે લિંક કરાવવો પડશે, નહીં તો તેમનું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે.

ભારતીય રેલવેમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. ઉપરાંત15મી જુલાઈથી ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટ બુકિંગમાટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ થશે, જેમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

રેલવે ટિકિટના ભાવમાં પણ થોડો વધારો થઈ ગયો છે. નોન-એસી કોચ માટે પ્રતિ કિમી 1 પૈસા અને એસી કોચ માટે પ્રતિ કિમી 2 પૈસાનો વધારો થયો છે. રિઝર્વેશન ચાર્ટ હવે ટ્રેનના પ્રસ્થાનના 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે, જેથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અન્ય વ્યવસ્થા કરવા માટે સમય મળી શકે.

દિલ્હી સરકારે પ્રદુષણ ઘટાડવા 1 જુલાઈથી જૂના (End-of-Life) વાહનો પર ઈંધણ પ્રતિબંધ લાગુ કર્યો છે. જેમાં દિલ્હીમાં 520 પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવ્યા છે, જે VAHAN ડેટાબેઝ સાથે વાહનોના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરશે. જો વાહન 15 વર્ષ જુનું હોય તો તેને ઈંધણ મળશે નહીં.

ગુડ્સ અને સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જુલાઈથી GSTR-3B રિટર્નને નોન-એડિટેબલ બનાવ્યું છે. હવે આ રિટર્ન GSTR-1/1A ડેટામાંથી ઓટો-પોપ્યુલેટ થશે અને સબમિટ કર્યા પછી તેમાં ફેરફાર કરી શકાશે નહીં. ઉદ્યોગપતિઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે.

RBIએ ઈન્ટરબેન્ક કોલ મની માર્કેટનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યાથી બદલીને સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કર્યો છે. આનાથી બેન્કોને ભંડોળ ઉધાર લેવા અને ઉધાર આપવા માટે વધુ બે કલાક મળશે.

SBIએ તેના પ્રીમિયમ કાર્ડ જેમ કે SBI Elite, Miles Elite અને Miles Primeથી એર ટિકિટ ખરીદવા પર હવાઈ અકસ્માત વીમો બંધ કરી દીધો છે. આ ઉપરાંત માસિક બિલ માટે લઘુત્તમ રકમની ગણતરી કરવાની પદ્ધતિ પણ બદલાશે.

HDFC બેન્કે ₹10,000થી વધુના ઓનલાઈન ભાડાની ચુકવણી, કૌશલ્ય-આધારિત રમતો, અને ડિજિટલ વૉલેટ લોડ કરવા પર 1% ટ્રાન્ઝેક્શન ફી (મહત્તમ ₹4,999 પ્રતિ ટ્રાન્ઝેક્શન) વસૂલવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, ₹50,000થી વધુના યુટિલિટી બિલ (વીમા સિવાય) પર પણ આ જ ફી લાગુ પડશે.

ICICI બેન્કે ATM ટ્રાન્જેક્શન માટે નવા ચાર્જ પણ લાગુ કર્યા છે. ICICI ATM પર પહેલા પાંચ ઉપાડ મફત હશે, ટ્રાન્જેક્શન દરેક ઉપાડ માટે 23 રૂપિયા વસૂલવામાં આવશે. ICICI સિવાયના ATM પર મેટ્રો શહેરોમાં ત્રણ અને નાના શહેરોમાં પાંચ મફત ટ્રાન્જેક્શન પછી 23 રૂપિયા અને 8.5 રૂપિયા (નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન) વસૂલવામાં આવશે.

CBDTએ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈથી વધારીને 15મી સપ્ટેમ્બર કરી છે. એટલે કે, નોકરી કરતા લોકોને હવે 46 દિવસનો વધારાનો સમય મળશે.

More Web Stories