ચોટીલાના શેખલિયા ગામે માજી સરપંચની હત્યાથી ચકચાર
Updated: Jan 25th, 2023
- કુહાડીથી હુમલો કરાયો : ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના શેખલિયા ગામે સ્થાનિક રાજકીય આગેવાનના પુત્રએ ગામના માજી સરપંચ ઉપર કુહાડીથી હુમલો કરીને મોત નિપજાવતાં નાની મોલડી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટક કરી હોવાનું જાણવા મળે છે.
ચોટીલા તાલુકાના છેવાડે આવેલ શેખલિયા ગામે માજી સરપંચ ગોવિંદભાઈ કાળાભાઈ ગોળીયા સાથે ગામના જ રજનીભાઈ કુમારખાણીયાને બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા રજનીભાઈ, પિતા ગાંડુભાઈ અને પુત્ર ભરતભાઈએ હુમલો કરી કુહાડીના ઘા ઝીંકી દેતા ગોવિંદભાઈને ગંભીર ઈજા સાથે કુવાડવા હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
આરોપી રજની હુમલો કરી ફરાર થઈ ગયો હતો. નાની મોલડી પોલીસે કુવાડવા હોસ્પિટલે દોડી જઈને મૃતદેહને પી.એમ માટે રાજકોટ મોકલી તપાસ હાથ ધરીને રજનીભાઈ ગાંડુભાઈ કુમરખાણીયા, ગાંડુભાઈ ભીમાભાઈ અને ભરત રજનીભાઈ નામના ત્રણ આરોપીની અટક કરી લીધી હોવાનું જાણવા મળે છે.