IPL ખતમ થતાં જ આ ખેલાડીઓના પત્તાં કાપવાની તૈયારીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, થશે કરોડોનું નુકસાન
IPL 2025 Sunrisers Hyderabad : આઈપીએલ-2025ની પ્લેઓફમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બહાર ફેંકાઈ ગઈ છે. આ સિઝનમાં SRHનો કુલ 14 મેચથી 6 મેચમાં વિજય અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે વરસાદના કારણે એક મેચ રદ થઈ છે, જેના કારણે ટીમના કેટલાક ખેલાડીઓ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.
નબળા ખેલાડીઓને રિલિઝ કરશે હૈદરાબાદ
હૈદરાબાદ ટીમના શરમજનક પ્રદર્શનના કારણે ટીમની માલિક કાવ્યા મારન (Kavya Maran) અને મેનેજમેન્ટે આગામી સિઝનની રણનીતિ ઘડવા માટે ટૂંક સમયમાં તૈયારીઓ શરૂ કરવાના છે. ટીમ મેનેજમેન્ટ કેટલાક નબળા ખેલાડીઓને રિલીઝ કરવાની તેમજ ટ્રેડ વિન્ડો દ્વારા નવા ખેલાડીઓને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ ઉપરાંત તેઓ મિની ઓક્શન દરમિયાન સ્ટાર ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે.
કાવ્યા મારન કયા ખેલાડીઓને રિલીઝ કરશે?
આઈપીએલની સિઝન પૂર્ણ થયા બાદ ટીમના ફેન્ચાઈઝીઓ અપેક્ષામાં ખરા ન ઉતરનાર ખેલાડીઓને રિલીઝ કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ પણ નબળું પ્રદર્શન કરનારા ખેલાડીઓને રિલીઝ કરવા પર વિચાર કરી શકે છે. રિલીઝની યાદીમાં મોહમ્મદ શમી (Mohammed Shami) અને કામિન્દુ મેન્ડિસ (Kamindu Mendis) જેવા ખેલાડીઓના નામ સામેલ હોઈ શકે છે. આઈપીએલ-2025માં શમીએ 9 મેચમાં માત્ર 6 વિકેટ ઝડપી છે. જ્યારે મેન્ડિસે કુલ પાંચ મેચો રમી 92 રન કરવાની સાથે માત્ર બે વિકેટ ખેરવી છે.
આ પણ વાંચો : ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર
સિઝનમાં એક-એક મેચ રમનારાઓ પણ રિલીઝ
આમ તો અર્થર્વ તાવડે (Atharva Taide)ને બહુ તક મળી નથી, પરંતુ જ્યારે તક મળી, ત્યારે તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, જેના કારણે તે પણ રિલીઝ થઈ શકે છે. તાવડેને માત્ર એક વખત પ્લેઈંગ-11માં સામેલ કરાયો હતો, એટલે કે ટીમે તેના પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો નથી, જેના કારણે તેને રિલીઝ કરવામાં આવી શકે છે. સચિન બેબી, રાહુલ ચાહર, વિયાન મૂલ્ડરે પણ માત્ર એક-એક મેચ રમી છે, જે ટીમની યોજના મુજબ ન હોવાનું દેખાઈ રહ્યું છે, તેથી આ ત્રણેય ખેલાડી રિલીઝ થઈ શકે છે.
હૈદરાબાદ ટીમની કોર ગ્રુપ યથાવત્ રહેશે
હૈદરાબાદે 2025ની હરાજીમાં પોતાનું કોર ગ્રુપ જાળવી રાખ્યું હતું. ટીમે હેનરિક ક્લાસેન (23 કરોડ રૂપિયા), પેટ કમિન્સ (18 કરોડ રૂપિયા), ટ્રેવિસ હેડ (14 કરોડ રૂપિયા), અભિષેક શર્મા (14 કરોડ રૂપિયા) અને નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ રૂપિયા)એ સારુ પ્રદર્શન કર્યું હોવાથી, તેઓને જાળવી રાખી શકે છે. આ ઉપરાંત, ઈશાન કિશન અને હર્ષલ પટેલે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોવાથી, આગામી સિઝનમાં આ બંને પણ યથાવત્ રહી શકે છે.