IPL 2026 : આઇપીએલની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહને KKR ના નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝી દ્વારા આ પગલું ભવિષ્યના નેતૃત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું મનાય છે.
નાઈટ્સ અનપ્લગ્ડ 3.0 માં થઈ સત્તાવાર જાહેરાત
કોલકાતામાં આયોજિત નાઈટ્સ અનપ્લગ્ડ 3.0 ઇવેન્ટ દરમિયાન KKR ના CEO વેન્કી મૈસૂરે રિંકુ સિંહના નામની જાહેરાત કરી હતી. રિંકુ હવે અનુભવી કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ટીમની કમાન સંભાળશે. આ પ્રસંગે ટીમના હેડ કોચ અભિષેક નાયરે જણાવ્યું હતું કે, રિંકુ છેલ્લા કેટલાક વર્ષોમાં એક લીડર તરીકે ઉભરી આવ્યો છે. T20 વર્લ્ડ કપની જીત બાદ તેને વધુ જવાબદારી આપવાનો આ યોગ્ય સમય છે.
રિંકુ સિંહ 80 લાખથી 13 કરોડ સુધીની સફર
રિંકુ સિંહની IPL સફર ખુબ જ સંઘર્ષપૂર્ણ અને ફિલ્મી છે. 2018માં માત્ર 80 લાખમાં ખરીદાયેલા રિંકુને IPL 2025 પહેલા ફ્રેન્ચાઈઝીએ 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. સતત પાંચ છગ્ગા ફટકારીને મેચ જીતાડનાર રિંકુ આજે KKR નો સૌથી લોકપ્રિય ચહેરો બની ગયો છે. ઇવેન્ટમાં ચાહકોએ રિંકુને કેપ્ટન બનાવી દો ના નારા પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: 'ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત
આન્દ્રે રસેલની જર્સી રિટાયર, હવે પાવર કોચની ભૂમિકામાં
KKR એ તેના દિગ્ગજ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને ખાસ સન્માન આપ્યું છે. ફ્રેન્ચાઈઝીએ રસેલની જર્સી નંબર 12 ને રિટાયર કરી દીધી છે. રસેલ હવે મેદાન પર રમતો નહીં, પરંતુ ટીમના પાવર કોચ તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. રસેલે ભાવુક થતા કહ્યું હતું કે, 2014 અને 2024 ના ખિતાબ જીતવામાં ભાગીદાર બનવું તે તેના જીવનની શ્રેષ્ઠ ક્ષણો છે.
ટીમમાં મોટા ફેરફારો અને ઈજાની સમસ્યા
KKR એ આ સીઝન માટે આન્દ્રે રસેલ અને વેંકટેશ અય્યર જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જ્યારે કેમેરોન ગ્રીનને 25.20 કરોડની રેકોર્ડ બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ટીમ અત્યારે ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ હાલ ઈજાના કારણે IPL 2026 માંથી બહાર છે અને તેની જગ્યાએ સૌરભ દુબે સામેલ કરવામાં આવ્યો છે. હર્ષિત રાણા અને મથીશા પથિરાના હાલ ઈજાગ્રસ્ત છે.KKR પોતાની પ્રથમ મેચ 29 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.


