Laxman Sivaramakrishnan On Indian Cricket : ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'મારે વારંવાર રંગભેદી ટિપ્પણીઓનો સામનો કરવો પડતો હતો.'
શિવરામકૃષ્ણનના બાળપણનો કડવો અનુભવ
અહેવાલો પ્રમાણે, શિવરામકૃષ્ણન 14 વર્ષની ઉંમરના હત્યા ત્યારે તેમની સાથે પહેલી ભેદભાવને ઉજાગર કરતી ઘટના થઈ હતી. તેઓ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ભારતીય ટીમ માટે નેટ બોલર તરીકે જોડાયા હતા. જ્યાં તેઓ કપડાં બદલવા માટે સ્ટેડિયમના એક નાના રૂમમાં ગયા ત્યારે એક વરિષ્ઠ ભારતીય બેટ્સમેને શિવરામકૃષ્ણને બોલાવીને તેમના જૂતા સાફ કરવા કહ્યું હતું.
વરિષ્ઠ ખેલાડીએ શિવરામકૃષ્ણનને ગ્રાઉન્ડ સ્ટાફ સમજી જૂતા સાફ કરવા કહ્યું
આ સમયે શિવરામકૃષ્ણને વરિષ્ઠ ખેલાડી તરફ જોઈને કહ્યું કે, 'આ મારું કામ નથી.' શિવરામકૃષ્ણને સ્પષ્ટ કર્યું કે, ‘તે ખેલાડીઓએ મને ગ્રાઉન્ડ સ્ટાફ મેમ્બર સમજી લીધો હતો. મને નહોતી ખબર કે જાતિવાદ કે રંગભેદ શું હોય છે. હું ફક્ત વિચારી રહ્યો હતો કે આ વ્યક્તિને આવું કેમ કર્યું હશે...'
ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા
શિવરામકૃષ્ણને જણાવ્યું કે, ‘તમિલનાડુ ટીમના ખેલાડીઓએ મને 'કદરૂપો' કહેતા હતા. મુંબઈ, ચંદીગઢ અને જલંધર જેવા શહેરોમાં જ્યારે પણ હું બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ ભરતો ત્યારે ભીડ ઘણીવાર "કાલિયા, તેરા ક્યા હોગા?" કહેતા અને મારી ત્વચાના રંગની મજાક ઉડાવતા હતા.’
કેક સાથે મારા રંગની તુલના કરી...: શિવરામકૃષ્ણન
બીજી એક રંગભેદની ઘટનાને યાદ કરતા શિવરામકૃષ્ણને ખુલાસો કર્યો હતો કે, 17મા જન્મદિવસ માટે લાવવામાં આવેલા કેક સાથે એક વરિષ્ઠ ભારતીય ખેલાડીએ મારી ત્વચાના રંગ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારે રડતાં રડતાં કેક કાપતા સમયે સુનિલ ગાવસ્કરે તેમને સાંત્વના આપવા માટે આગળ આવવું પડ્યું હતું.
શિવરામકૃષ્ણન તેમના જન્મદિવસ પર કેમ રડ્યા?
શિવરામકૃષ્ણનના જણાવ્યા મુજબ, "એક સિનિયર ખેલાડીએ ટિપ્પણી કરી કે 'અરે સની, તમે એકદમ યોગ્ય રંગની કેક મંગાવી છે. એક કાળા છોકરા માટે આટલી ડાર્ક ચોકલેટ કેક.' આ દરમિયાન હું રડી પડ્યો અને કેક કાપવાનો ઇનકાર કર્યો. તેવામાં સુનિલ ગાવસ્કરે મને શાંત પાડવો પડ્યો અને પછી જ મેં કેક કાપી."
આ પણ વાંચો: એક IPL ટીમમાં આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL આવી જાય! જાણો કેટલી અમીર છે RR
BCCI પર ગંભીર આરોપો
શિવરમાકૃષ્ણને BCCI પર ભેદભાવના ગંભીર આરોપ લગાવીને 20 માર્ચે 23 વર્ષની લાંબી કોમેન્ટ્રી કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે BCCI પર તેઓને તકો ન આપવાનો આરોપ લગાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
X પોસ્ટમાં લખતા શિવરામકૃષ્ણને જણાવ્યું હતું કે, બે દાયકાથી વધુ સમય સુધી કોમેન્ટ્રી સેટઅપનો અભિન્ન ભાગ હોવા છતાં તેમને ટોસ ડ્યુટી અને મેચ પછીની પ્રેઝન્ટેશન સમારોહ જેવી અગ્રણી ઓન-એર ભૂમિકાઓથી સતત દૂર રાખવામાં આવ્યા હતા.



