BCCI Strict Advisory : BCCIએ ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા પ્રોટોકોલના પાલન અંગે કડક વલણ અપનાવ્યું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે, કેટલીક ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓના વર્તનમાં ગેરરીતિઓ સામે આવી છે, જેને બોર્ડ ગંભીરતાથી જોઈ રહ્યું છે.
પ્રોટોકલનું પાલન નહીં થાય તો BCCI કડક કાર્યવાહી કરશે
સૈકિયાના જણાવ્યા અનુસાર, BCCIને ધ્યાને આવ્યું છે કે, કેટલાક અનધિકૃત લોકો ખેલાડીઓ સાથે મુસાફરી કરી રહ્યા છે. જેમાં ટીમ બસોમાં મુસાફરી કરવી અને ટીમ હોટલોમાં પ્રવેશ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. તેમણે કહ્યું કે, આ નિર્ધારિત પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. સુરક્ષા અને સંચાલન સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓ માટે ટૂંક સમયમાં એડવાઈઝરી જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘કેટલાક નિર્ધારિત પ્રોટોકોલ છે અને જો કોઈ તેનું પાલન નહીં કરે તો BCCI યોગ્ય કાર્યવાહી કરશે.'
ટુર્નામેન્ટની પારદર્શિતા જાળવવા લેવાયું પગલું
જોકે, બોર્ડ દ્વારા હાલમાં કોઈ ચોક્કસ ફ્રેન્ચાઈઝી, ખેલાડી કે વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે, આ પગલું ખેલાડીઓની સુરક્ષા, ટીમ શિસ્ત અને ટુર્નામેન્ટના સંચાલનમાં પારદર્શિતા જાળવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી રહ્યું છે.
ક્યાંથી થઈ શરૂઆત?
એપ્રિલમાં રાજસ્થાન રોયલ્સની (RR) બે જુદી જુદી ઘટના તપાસના દાયરામાં આવી હતી. પ્રથમ ઘટના એ છે કે, ટીમ મેનેજર રોમી ભિન્ડરને ગુવાહાટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કડક ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગને કથિત રીતે ન્યૂ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમની અંદર વેપિંગ કરતો જોવા મળ્યો હતો.
હવે ભૂલ કરી તો... BCCIની ચેતવણી
સૈકિયાએ IANSને કહ્યું કે, આ ઘટનાઓને BCCIએ ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હવે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. અમે આ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. તમે રાજસ્થાન રોયલ્સના મેનેજર દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ અને એક ખેલાડીના વેપિંગ કરતા પકડાયાની ઘટના પહેલા જ જોઈ ચૂક્યા છો. નવી એડવાઈઝરી જારી થયા પછી જો કોઈ નિયમ તોડશે તો તેની સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. પછી તે ખેલાડી હોય, ટીમ અધિકારી હોય કે માલિક, કોઈને પણ છોડવામાં આવશે નહીં.’
આ પણ વાંચો : પંજાબ માટે IPL રમનારા 36 વર્ષીય ક્રિકેટરનું નિધન, કોહલી-યુવરાજથી લઈને ક્રિકેટ જગત દુઃખી


