India Pakistan Match:: ટી20 વર્લ્ડ કપ 2026માં બહુ ચર્ચિત ભારત પાકિસ્તાન મેચ અને બાયકોટ વિવાદ પર ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે મૌન સેવ્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા 15 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચને બાયકોટ કરવાનો નિર્ણય લેવાતા ક્રિકેટ જગતમાં ભારે ઉહાપોહ મચ્યો છે. તેવામાં ગંભીરે આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.
સવાલોના જવાબ માત્ર આભાર કહ્યું!
મુંબઈમાં ભારતના વોર્મ અપ મેચ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગૌતમ ગંભીરને પાકિસ્તાનના બાયકોટ ડ્રામા પર સવાલ પૂછવામાં આવ્યો હતો, તો ગૌતમ ગંભીરે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. અને માત્ર ‘Thank you’ કહી આગળ ચાલ્યા ગયા હતા.
પૂરતું ધ્યાન ટી20 વર્લ્ડકપ પર
ગૌતમ ગંભીરનું આ વલણ ચોંકાવનારું નથી, એક ખેલાડી તરીકે ગંભીરે હંમેશા ભારતના હિતને સૌથી ઉપર રાખ્યું છે. 2007માં શાહિદ આફ્રિદી સાથે ટકરાવ હોય કે પછી 2009માં કામરાન અકમલ પર તંજ દરેક વખતે ગંભીરે પાકિસ્તાન સમક્ષ પોતાની વાત નીડરતાથી મૂકી છે. પણ હાલના ઘટનાક્રમને જોતાં કોચ તરીકે તેમણે મૌન સેવીને એ વાત સિદ્ધ કરી કે તેમનું પૂરતું ધ્યાન ટી20 વર્લ્ડકપ પર છે. તેઓ મેચ બહારના વાતાવરણ અને રાજનૈતિક નિવેદનબાજી પર કોઈ ફોકસ નહીં કરે, માત્ર મેદાન પર ધ્યાન આપશે.
પલટી મારવાનો પાકિસ્તાનનો ઇતિહાસ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારના નિર્ણય બાદ હવે એ સવાલ ઘેરો બની રહ્યો છે કે શું આ નિર્ણય કાયમી છે કે પછી પાકિસ્તાન પોતાની આદત મુજબ ફરીથી પલટી મારી દેશે.પોતાની વાત પરથી ફરી જવાનો પાકિસ્તાનનો ઇતિહાસ ઘણો જૂનો રહ્યો છે. એશિયા કપમાં પણ પાકિસ્તાને ટુર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી હતી અને નાટક કર્યું હતું, પરંતુ અંતે પાકિસ્તાને આખી ટુર્નામેન્ટ રમી હતી. આવી સ્થિતિમાં સવાલ એ પણ થાય છે કે શું આ બહિષ્કાર પાછળ પણ પાકિસ્તાનનો કોઈ બદઈરાદો છે?
ICCના એક્શનનો ડર
પાકિસ્તાનના આ વલણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ અસહજ સ્થિતિમાં છે. ભારત-પાકિસ્તાન મુકાબલો ICC ઈવેન્ટ્સ માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. બ્રોડકાસ્ટિંગ અધિકારો, સ્પોન્સર્સ અને જાહેરાતો સાથે સંકળાયેલી જંગી રકમ આ એક મેચ પર નિર્ભર કરે છે. રિપોર્ટ્સ મુજબ, જો આ મેચ નહીં યોજાય તો ICCને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે.
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ
ICC અગાઉ જ PCB ને ચેતવણી આપી ચૂક્યું છે કે, મેચના બહિષ્કારની સ્થિતિમાં તેણે ગંભીર નાણાકીય અને કાયદાકીય પરિણામો ભોગવવા પડી શકે છે. બ્રોડકાસ્ટર તરફથી કાયદાકીય કાર્યવાહી અને પાકિસ્તાનના વાર્ષિક રેવન્યુ હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત, પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકલું-અટૂલું પડી જવાનું જોખમ પણ છે. નકવી પણ આ સ્થિતિથી વાકેફ છે. તેમને ખબર છે કે જો ICC તેમની સામે કડક પગલાં લેશે તો તેમનું બોર્ડ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તેઓ વિશ્વભરમાં એકલા પડી જશે. આવી સ્થિતિમાં શક્ય છે કે પાકિસ્તાન ફરી પોતાની જ વાત પરથી ફરી જાય.


