30 ઓસ્ટ્રેલિયન IPL છોડે તેવી શક્યતા, પીએમ મોરિસને કહ્યુ ચાર્ટર્ડ ફ્લાઈટ નહીં મોકલાય
Updated: Apr 27th, 2021
નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર
ભારતમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે આઈપીએલમાં રમી રહેલા ઓસી ક્રિકેટરોમાં ચિંતાનો માહોલ છે. કેન રિચર્ડસન, એડમ ઝેમ્પા, એન્ડ્રુ ટાય તો પહેલા જ ટુર્નામેન્ટ છોડી ચુક્યા છે અને હવે બીજા ક્રિકેટરો પણ અધવચ્ચે સ્વદેશ પાછા જવાનુ વિચારી રહ્યા છે.
જેમ કે દિલ્હી કેપિટલ્સમાંથી રમતા સ્ટીવ સ્મિથ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ ઓસ્ટ્રેલિયા પાછા ફરે તેવી શક્યતા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈપીએલમાં ભાગ લઈ રહેલા ઓસી ક્રિકેટરો ઉપરાંત કોચ, કોમેન્ટેટર સહિતની ભૂમિકા ભજવી રહેલા 30 ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા પાછા ફરવા માંગે છે.
દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક પ્લેયર અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતા ક્રિસ લીને કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયાએ અમારા માટે ચાર્ટર્ડ પ્લેન મોકલવુ જોઈએ.જોકે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યુ છે કે, ઓસી ખેલાડીઓએ ભારત પાછા ફરવાની વ્યવસ્થા જાતે કરવી પડશે.તેમના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં નહીં આવે, આ ક્રિકેટરો જાતે ગયા હતા અને આ ઓસ્ટ્રેલિયાનો સત્તાવાર પ્રવાસ નથી.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટો પર 15 મે સુધી પ્રતિબંધ મુકી દીધો છે.