સ્મશાનયાત્રામાં''રામ બોલો ભાઈ રામ'' શા માટે બોલાય છે?
Updated: Apr 30th, 2024
- એક જ દે ચિનગારી-શશિન્
- કયા આઠ સદ્દગુણોને લાયક વ્યક્તિ મુક્તિ કે મોક્ષ ધામમાં પ્રવેશી શકે ?
- બ્રહ્માજીએ કહ્યું કે હવે પછી જે કોઈને રામનામ, સાથે દેહત્યાગ બાદ અગ્નિ સંસ્કાર પ્રાપ્ત થશે તેને 'સંતાનક' લોકની પ્રાપ્તિ થશે.
ભા રતીય સંસ્કૃતિમાં જેમને પુરુષોત્તમ તરીકે આદર્શ રૂપે નિરખવામાં આવે છે તેઓ પિતા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર હતા પૌરાણિક સાહિત્યમાં શ્રીરામને વિષ્ણુના સાતમા અવતાર તરીકે વર્ણાવાયા છે. તેઓ ભગવાન વિષ્ણુ જેવા પરાક્રમી હતા. પણ રામચરિત્રનો સૌથી પ્રાચીન ગ્રંથ તે 'વાલ્મીકિ રામાયણ'. ફાધર કામિલ બૂકેના મત મુજબ આ ગ્રંથની રચના ઈ.સ.પૂર્વે ૩૦૦ છે. વાલ્મીકિ રામાયણમાં કુલ શ્લોક સંખ્યા ૨૪૦૦૦ છે, જે બાળકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, યુદ્ધ અને ઉત્તર વગેરે સાત કાંડોમાં વિભાજિત છે.
લક્ષ્મણે ઝાડ પર જોઈને કહ્યું કે ભરત સૈન્ય સાથે આગળ વધી રહ્યો છે પણ શ્રીરામને ભરતની પવિત્ર બંધુભાવનામાં વિશ્વાસ હતો એટલે તે કહે છે કે ''ભરત ન હોહિં રાજમદ'' ભરતે ચિત્રકુટમાં આવી રામચંદ્રજીના પવિત્ર ચરણોમાં નમન કરીને તેમને અયોધ્યા પાછા આવવા વિનંતી કરી. રામે ભરતને ગાદી સંભાળી લેવાની અને ૧૪ વર્ષ સુધી લંકાનું રાજ્ય શાસન કરવાનું માર્ગદર્શન આપ્યું. અને ભરતે ગાદીએ બેસવાને બદલે અયોધ્યાના સિંહાસન પર રામની પાદુકા સ્થાપી અયોધ્યાની જવાબદારી નિભાવશે તેવું પ્રણ લીધું હતું.
રામચંદ્રદેવે જોયું કે ચિત્રકુટ અયોધ્યાથી નિકટ હોવાથી અયોધ્યા-વાસીઓ વારંવાર મળવા આવશે અને વનનિવાસમાં મુશ્કેલીઓ ઊભી કરશે. એટલે તેઓ ચિત્રકુટ છોડી દંડકારણ્યમાં પંચવટી સ્થળ પર પહોંચ્યા. અહીં જ રાવણની બહેન સૂર્પણખાનું નાક અને કાન છેદી નાખવાની ઘટના બની હતી. બહેનની દુર્દશા જોઈ રાવણે પોતાના સેનાપતિ ખર-દૂષણને શ્રીરામ સામે બાથ ભીડવા મોકલ્યા હતા. રાવણનુ સમગ્ર સૈન્ય ત્યાં શ્રી રામચંદ્રદેવ દ્વારા પરાજિત થઈ નષ્ટ થઈ ગયું હતું. એ વેરવૃત્તિ મનમાં રાખીને જ રાવણે સીતાપહરણનો કાર્યક્રમ વિચાર્યો હતો. પુરાણો ઉપરાંત બૌદ્ધ અને જેન સાહિત્યમાં રામકથા વિષયક અનેક ગ્રંથો જોવા મળે છે. જેમ કે દશરથ જાતક-ગાથાઓ, અનામક જાતકકથા, પઉમ ચરિયં, દશરથ કથાનકમ, રામલખ્ખણ ચરિતમ્, રામદેવ પુરાણ બલભદ્ર પુરાણ વગેરે. ભારતની કેટલીક ભાષાઓમાં પણ રામકથા આલેખાઈ છે. જેમ કે અસમીયાં, (આસામી) ઉડીયા, ઉર્દુ, કન્નડ, કાશ્મિરી, ગુજરાતી, ગુરુમુખી પંજાબી, તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, મલયાલમ્, વગેરે, આ સિવાય તિબેટી, મલાયી, ખેતાની તથા જાવા-કંબોડીઆ વગેરેમાં રામકથા વિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. રામનું સ્વરૂપ વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે ''નીલાંજનચયોપમ'' અર્થાત્ કૃષ્ણ વર્ણીય હતા. તેમની બન્ને ભુજાઓ ઈંદ્રધ્વજ સમાન બળવાન હતી.
ભગવાન રામનું લગ્ન થયું ત્યારે તેમની ઉમ્મર ૧૫ વર્ષની હતી. સીતાજી લગ્ન સમયે ૯ વર્ષનાં હતા (ભારતીય સંસ્કૃતિનાં સોપાન) તેઓ ૧૨ વર્ષ સીતાજી સાથે રહ્યાં અને ૨૭મા વર્ષો તેમને વનવાસ પ્રાપ્ત થયો. વનવાસ દરમ્યાન શ્રી રામચંદ્રદેવ, સીતાજી અને લક્ષ્મણ ચિત્રકુટ અને પંચવીટ (નાસિક પાસે)માં રહ્યા. હનુમાનજીનો રામ પ્રત્યેનો ભક્તિભાવ અનન્ય હતો. રામની સમાન ઈચ્છા તેમને માટે પવિત્ર આદેશ હતી.
લક્ષ્મણ 'શક્તિ' પ્રહારનો ભોગ બન્યા ત્યારે તેમની સારવાર સુષેણ નામના વાનર સેનાપતિએ સૂચવ્યું કે જો મહોદય પર્વત પર પ્રાપ્ત થતી 'વિશલ્પકરણી' નામની જડીબુટ્ટી લઈ આવે તો તે ઉપયોગી નીવડશે જ હનુમાનજી તે પર્વત પર પહોંચ્યા પણ સુષેણ વૈદ્યે કહેલી 'વિશલ્પ કરણી' વનસ્પતિ કઈ તે ઓળખી શક્યા નહીં એટલે મહોદય પર્વતનું વિવિધ વનસ્પતિઓવાળું આખુ શિખર ઉઠાવી લાવ્યા અને તે
વનસ્પતિના સેવનથી લક્ષ્મણની મૂર્છા ગઈ. હનુમાનજીની જેમ વિભીષણ, સુગ્રીવ, વગેરે પણ સમજીના સમર્પિત સેવકો હતા.
લંકાવિજય બાદ પુષ્પક વિમાન દ્વારા શ્રીરામદેવ સીતાજી, લક્ષ્મણ, વિભીષણ સહિત અનેક સેવકો સાથે અયોધ્યા પહોંચ્યા.લંકાના યુદ્ધક્ષેત્રમાં વાનર-સેના તથા રામ-લક્ષ્મણ યુદ્ધમાં વ્યસ્ત હતા. ત્યારે તેમને પજવવા માટે મેઘનાદે માયાનો વિસ્તાર કરી માયાવી સીતા ઉત્પન્ન કરી જે સીતાજી જેવી દુર્બળ અને અસ્ત-વ્યસ્ત વેશભૂષા ધારણ કરેલી હતી. મેઘનાદે તે માયાવી સીતાને પોતાના રથના આગળના ભાગમાં બેસાડી રથમાં ફરવાનું શરૂ કર્યું. તે રામસેનાને ઉશ્કેરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા.
માયાવી સીતાના વાળ ખેંચી તેના બેટુકડા કરવા જતો હતો છતાં વાનર સેનાએ વળતું આક્રમણ ન કર્યુ. મેઘનાદે માયાવી સીતાના બે ટુકડા કર્યા છતાં કારણ કે હનુમાનજી નારી દાક્ષિણ્યમાં માનતા હતા. એક તબક્કે હનુમાનજીએ યુદ્ધ રોકાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો કારણ કે જેના માટે (સીતાજીના) તેઓ લડતા હતા તેતો મેઘનાદના હાથે માર્યા ગયા. હતાં ! શ્રીરામ પણ આ સમાચાર મળતાં બેહોશ થઈ ગયા હતા ! વિભીષણે બધાંને સમજાવ્યું કે રાવણ ક્યારે પણ સીતાજીને મારવાનો વિચાર કરતો જ નહોતો. એટલે મઘનાદે જે ભમ્ર ઉત્પન્ન કર્યો તે માયાવી પ્રદર્શન હતું.
ભગવાન રામચંદ્રજીએ તેમના વિવિધ ભક્તો નિમિત્ત અવતરિત થઈને લીલા કરી. એવામાં બ્રહ્યાજીએ મુનિનો વેશધારણ કરેલા 'કાળપુરુષ' શ્રીરામને વૈકુંઠ તેડી લાવવા માટે અયોધ્યા મોકલ્યો.
એ કાળપુરુષે રામને મળી બ્રહ્માજીનો સંદેશો સંભળાવ્યો અને શરત એ મુકી કે તેની અને રામચંદ્રજીની વચ્ચે વાતચીત ચાલતી હોય ત્યારે અન્ય કોઈ ત્યાં પ્રવેશે નહીં અને પ્રવેશે તો તત્કાળ તેનો ત્યાગ કરી દેવો.
રામ આ વાતની ગંભીરતા સમજતા હતા. એટલે દ્વારપાલ તરીકે સેવાની જવાબદારી લક્ષ્મણને સોંપી અને કોઈ ત્રીજું વ્યક્તિનો સંદેશો પહોંચાડવા પણ અંદર ન આપવું એવી કડક સૂચના આપી.
મુનિ દુર્વાસા ક્રોધ માટે જાણીતા હતા. રામની પરીક્ષા લેવા માટે પહોંચી ગયા. દુર્વાસાના ક્રોધનું દુલ્પરિણામ શું આવી શકે, તેની કલ્પના લક્ષ્મણને હતી. એટલે કામપુરુષ અને રામની બેઠક ચાલતી હતી ત્યાં પહોંચી દુર્વાસાના આગમન તેમને જાણ કરી. શરત મુજબ રામે લક્ષ્મણનો પરિત્યાગ કર્યો પણ લક્ષ્મણજીએ પોતાના યોગ બળે સરયુ તટે પહોંચી જળ સમાધિ લીધી. (શિવપુરાણ) લક્ષ્મણના પરલોકગમન બાદ રામે પણ સ્વગૉરોહણની ઈચ્છા પ્રગટ કરી. રામ, ભરત, શત્રુઘ્ન સુગ્રીવ તથા અનેક પ્રજાજનો, સમસ્ત વાનરો તથા રાણીવાસની રાણીઓ તથા પશુ-પક્ષીઓ સહિત રામ સમુદ્ર કાંઠે પહોંચ્યા. સરયૂ કાંઠે ગયા હતા તેમને ''સંતાનક'' લોકની પ્રાપ્તિ થઈ. બ્રહ્માજીએ કહ્યું કે હવે પછી જે કોઈને રામનામ, સાથે દેહત્યાગ બાદ અગ્નિ સંસ્કાર પ્રાપ્ત થશે તેને 'સંતાનક' લોકની પ્રાપ્તિ થશે. શ્રીરામે પણ સદેહ પોતાના ભાઈઓ સાથે વૈકુંઠધામે પ્રસ્થાન કર્યું. કેવા સદ્દગુણોવાળો માણસ મોક્ષ કે મુક્તિને લાયક બની શકે ?
૧. પ્રજ્ઞાવાન સંયમી, ક્રોધ અને વાસનાઓ પર કાબૂ મેળવનાર, આસક્તિઓ છોડી દેનાર.
૨. સુખ-દુઃખમાં જે અવિચલિત રહે, દુઃખોથી દુઃખી ન થાય.
૩. મનની કામનાઓ છોડી જે આત્મામાં રહે.
૪. સ્વાવલંબી, બ્રહ્મચર્ય સેવી અને રાગ-દ્વેષથી દૂર રહેનાર
૫. નિસ્પૃહિતા, અહંકાર યુક્ત રહેનાર
૬. અહંતા, મમતાનો ત્યાગ
૭. યોગ પરાયણ માનસ
૮. સદાય પ્રસન્ન ચિત્તે જીવનાર.