Explainer: કેમ દુનિયાના બધા દેશો પરમાણુ બોમ્બ નથી બનાવી શકતા? જાણો કોને છૂટ છે અને શું છે નિયમ
Nuclear Weapons Production In The World: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધે દુનિયાભરના દેશોને ચિંતામાં નાંખી દીધા છે. ચિંતા વાજબી પણ છે. જે રીતે બંને દેશ એકમેકનો ઘડો લાડવો કરી નાંખવા હુમલા કરી રહ્યા છે એ જોઈને પરમાણુ યુદ્ધ ફાટી નીકળવાની ચિંતા થવી સ્વાભાવિક છે. આવો કોઈ મહાવિનાશ સર્જાયો તો દુનિયાના તમામ દેશોને એની વત્તીઓછી અસર થશે.
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનું કારણ શું છે?
ઇઝરાયલ-ઈરાન વચ્ચે છેડાયેલા જંગનું કારણ ઈરાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષા છે. ફક્ત ઇઝરાયલ જ નહીં, અમેરિકા પણ નથી ઇચ્છતું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવામાં સફળ થાય. હાલમાં દુનિયાના ફક્ત નવ દેશો પાસે પરમાણુ બોમ્બ છે, ત્યારે સવાલ એવો થાય કે સમૃદ્ધ હોય એવા અન્ય દેશો પણ શા માટે પરમાણુ બોમ્બ નથી બનાવતા?
ઇઝરાયલે ઈરાનેની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ પર પાણી ફેરવ્યું
તાજેતરમાં ઇઝરાયલે ઈરાનના સશસ્ત્ર ઠેકાણા અને પરમાણુ સાઇટ્સ પર અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલો કર્યો હતો. 'રાઇઝિંગ લાયન' નામના આ ઓપરેશન બાબતે ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેણે ઈરાનની પરમાણુ સાઇટ્સને સંપૂર્ણપણે નાશ કરી દીધી છે. હુમલામાં ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા છે.
સૌથી વધારે અમેરિકાને પેટમાં દુખે છે
જગત જમાદાર અમેરિકાને તો ઈરાન શું, કોઈપણ દેશ પરમાણુ બોમ્બ બનાવે એ ગમતું નથી. ભારતે જ્યારે પરમાણુ રાષ્ટ્ર બનવાની સિદ્ધિ મેળવેલી ત્યારે પણ અમેરિકા નારાજ થયેલું. પરમાણુ કાર્યક્રમ બંધ કરવા માટે અમેરિકાએ ઈરાનને વારંવાર ચેતવણી આપી છે, પણ ઈરાન વાળ્યું વળતું ન હોવાથી અમેરિકા ઈરાન વિરુદ્ધની લડાઈમાં ઇઝરાયલને ટેકો આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીનો અમેરિકામાં જ વિરોધ, હજારો લોકોએ દેખાવો કર્યા
વિશ્વમાં ફક્ત 9 દેશ પાસે પરમાણુ બોમ્બ છે
પરમાણુ શક્તિથી સંપન્ન હોય એવા વિશ્વમાં ફક્ત 9 દેશ છે- અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઇઝરાયલ, ઉત્તર કોરિયા, પાકિસ્તાન અને ભારત. તેમની પાસે કુલ 12,121 પરમાણુ શસ્ત્રો છે, જેમાંના 90 % ફક્ત અમેરિકા અને રશિયા પાસે છે!
બાકીના દેશો પરમાણુ બોમ્બ શા માટે નથી બનાવી શકતા?
દુનિયાનો કોઈપણ દેશ મનફાવે એ રીતે પરમાણુ બોમ્બ નથી બનાવી શકતો એના મજબૂત કારણો છે, જે નીચે મુજબ છે.
1) પરમાણુ બોમ્બ બનાવવું અતિશય ખર્ચાળ છે
પરમાણુ બોમ્બ બનાવવો આસાન વાત નથી, કેમ કે એ બનાવવા માટે યુરેનિયમ સંવર્ધન, પરમાણુ વિભાજન અને ફ્યુઝન જેવી અઘરી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કરવી પડે છે. હાઇ-ટેક લેબ્સ અને સુપર-સ્માર્ટ વૈજ્ઞાનિકો પણ હોવા જરૂરી છે. પુષ્કળ નાણાંનો ધુમાડો કરો ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકાય છે, જે દરેક દેશને પરવડતું નથી. એટલે દુનિયાના મોટાભાગના ગરીબ અને વિકાસશીલ દેશોના નામ પર તો નાણાંના અભાવે જ ચોકડી મૂકી દેવી પડે.
2) સમૃદ્ધ દેશો શા માટે પરમાણુ બોમ્બ નથી બનાવી શકતા?
આધુનિક ટૅક્નોલૉજી ક્ષેત્રે અગ્રેસર એવા જાપાન, જર્મની, સાઉથ કોરિયા જેવા દેશો પાસે તો અઢકળ નાણાં છે, તેમની પાસે પરમાણુ શક્તિ નાથવાની ક્ષમતા પણ છે, છતાં તેઓ કેમ પરમાણુ બોમ્બ નથી બનાવતા? એનો જવાબ છે દેશોના હાથ બાંધી લેતો ‘પરમાણુ અપ્રસાર સંધિ’ (NPT) નામનો કરાર.
પરમાણુ શસ્ત્રો બનાવવાની હોડ મચતાં NPTની જરુર ઊભી થઈ
અમેરિકાએ 1945માં પરમાણુ બોમ્બ બનાવીને જાપાન પર ફેંક્યા, ત્યારે દુનિયાને ખ્યાલ આવ્યો કે પરમાણુ શસ્ત્રો કેવી તબાહી મચાવી શકે છે! અમેરિકા પછી 1949માં રશિયા, 1952માં બ્રિટન, 1960માં ફ્રાન્સ અને 1964માં ચીને પરમાણુ વિસ્ફોટ કરીને પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા મેળવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર શરુ થઈ ગયું હતું. બંને મહાસત્તા મોટી માત્રામાં પરમાણુ શસ્ત્રો બનાવવાની હોડમાં પડી હતી. એમનું જોઈને વિશ્વના અન્ય દેશો પણ પરમાણુ શસ્ત્રો બનાવવા લાગી જાય તો ભવિષ્યમાં મહાવિનાશકારી પરમાણુ યુદ્ધ છેડાઈ જવાની શક્યતા હતી. એમ ન થાય એ માટે NPTની જરુર ઊભી થઈ હતી.
NPT શું છે?
પરમાણુ શસ્ત્રોના વધુ ફેલાવાને રોકવા માટે 1968માં NPT (નોન-પ્રોલિફરેશન ટ્રીટી – પરમાણુ અપ્રસાર સંધિ) નામની સંધિ બનાવી હતી, જે 1970માં અમલમાં આવી હતી. 191 દેશોએ એ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. સંધિનો નિયમ એ હતો કે 1968 સુધીમાં જે પાંચ દેશો - અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન – પરમાણુ શસ્ત્રો બનાવી ચૂક્યા હતા એ સિવાયના અન્ય કોઈ દેશ પરમાણુ શસ્ત્રો બનાવી શકશે નહીં.
તો પછી ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયાએ પરમાણુ શસ્ત્રો કેવી રીતે બનાવ્યા?
191 દેશોએ NPT પર હસ્તાક્ષર કર્યા હતા, પણ ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલે એમ નહોતું કર્યું. તેમને NPT અન્યાયી લાગી હતી, કેમ કે એ સંધિ પાંચ પરમાણુ રાષ્ટ્રોની તરફેણ કરતી હતી. ઉત્તર કોરિયાએ 1985માં સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, પણ એણે 2003માં સંધિમાંથી નીકળી જઈને પરમાણુ બોમ્બ બનાવ્યો હતો. એ જ રીતે સંધિ પર કદી હસ્તાક્ષર ન કર્યા હોવાથી ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલે પણ પરમાણુ ક્ષમતા કેળવી લીધી હતી.
આ પણ વાંચોઃ 'અમેરિકા ઈતિહાસથી કંઈ ન શીખ્યું, તાકાતથી શાંતિ ન આવે...' UNSCમાં ચીન-રશિયાની ચોખ્ખી વાત
કોઈ દેશ NPT સંધિનો ભંગ કરીને પરમાણુ બોમ્બ બનાવે તો શું થાય?
કોઈ દેશ NPTના નિયમો તોડીને પરમાણુ બોમ્બ બનાવે તો એણે એની ભારે કિંમત ચૂકવવી પડે છે. તેના પર દુનિયાભરના દેશો દ્વારા આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો લાદી દેવાય છે. તેણે લશ્કરી હુમલાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ઈરાન હાલમાં એનો જ ભોગ બન્યું છે.
IAEAની બાજ નજર તમામ દેશો પર રહે છે
IAEA(ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી - આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) નામની સંસ્થા પ્રત્યેક દેશના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખે છે. વીજળી ઉત્પન્ન કરવા જેવા શાંતિપૂર્ણ હેતુ માટે પરમાણુ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાની દુનિયાના તમામ દેશોને છૂટ છે, પણ બોમ્બ બનાવવાની છૂટ મળતી નથી. જો કોઈ દેશ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરે છે, તો IAEA અને સંયુક્ત રાષ્ટ્ર તેની સામે કડક પગલાં લે છે. અલબત્ત, દુનિયાના ઘણા દેશો ચોરીછુપે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશમાં પડ્યા હોવાનું કહેવાય છે.