ચંદ્રને બચાવવા અંતરિક્ષમાં લઘુગ્રહ પર ન્યુક્લિયર હુમલાની તૈયારીમાં નાસા! જાણો કેમ છે ખતરો
AI Image |
NASA Considering Nucler Attack On Asteroid: નાસાના વિજ્ઞાનીઓ ચંદ્રને બચાવવા માટે એસ્ટેરોઇડ પર ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કરીને અટેક કરી રહ્યાં છે. એસ્ટેરોઇડને લઘુગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2024 YR4 લઘુગ્રહની શોધ 2024ના ડિસેમ્બરમાં થઈ હતી. 2032માં આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટક્કરાય એવા ત્રણ ટકા ચાન્સ હતા. ત્યાર બાદ તેના હલનચલન પર સતત નજર રાખવામાં આવી હતી. આથી ત્યાર બાદ પૃથ્વી સાથે ટક્કર થવાના ચાન્સ એક ટકા હોવાની જાણ થઈ હતી. જોકે પૃથ્વી સાથે ટક્કર થશે એવું નહોતું. એની ટક્કર ચંદ્ર સાથે થવાના પણ ચાન્સ છે.
શું છે 2024 YR4?
2024 YR4 એક લઘુગ્રહ છે. એ 53-67 મીટરનો હોવાનું અનુમાન છે. એ ખૂબ જ મોટો હોવાથી એને સિટી કિલર નામ આપવામાં આવ્યું હતું. તે જે જગ્યા સાથે ટક્કરાશે એ જગ્યા સંપૂર્ણપણે વિનાશ થઈ શકે છે. આખું શહેર એને તહસ-નહસ કરી શકે છે. એથી એને સિટી કિલર અને સિટી ડિસ્ટ્રોયર જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ લઘુગ્રહ પૃથ્વીને નુકસાન કરે એવા ચાન્સ ઓછા છે, પરંતુ હવે એ ચંદ્રની સાથે ટક્કર લેશે એવા ચાન્સ ચાર ટકા છે. 2032ના ડિસેમ્બરમાં આ ટક્કર થઈ શકે છે.
પૃથ્વી અને ચંદ્રને છે રિસ્ક
2024 YR4 જો ચંદ્ર સાથે ટક્કર લેશે તો ચંદ્ર પર અંદાજે એક કિલોમીટરનો ખાડો પડી શકે છે. એના કારણે ચંદ્ર પરથી ધૂળ અને પથ્થરોના ટુકડા સ્પેસમાં આવી શકે છે. એને ડેબ્રિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેબ્રિસ 100 મિલિયન કિલોગ્રામ્સનો હોવાનો અંદાજ છે. જો ચંદ્ર સાથે ટક્કર થયા બાદ આ ડેબ્રિસ સ્પેસમાં આવશે, તો થોડા જ દિવસોમાં એ પૃથ્વીની ઓર્બિટમાં આવી શકે છે. એના કારણે સેટેલાઇટ્સ, ટેલિસ્કોપ્સ અને અંતરિક્ષયાત્રીઓને લાંબા સમય સુધી ખૂબ જ નુકસાન થઈ શકે છે. એ ગમે ત્યારે સેટેલાઇટ્સ સાથે ટક્કરાઈને એને નુકસાન પણ પહોંચાડી શકે છે. એના કારણે પૃથ્વી પર કોમ્યુનિકેશનમાં પણ અવરોધ આવી શકે છે.
નાસા પાસે છે બે વિકલ્પ : વિનાશ કરવો અથવા વળાંક આપવો
વળાંક આપવો : નાસા પહેલાં આ લઘુગ્રહને વળાંક આપવાનું વિચારી રહી હતી. જો તેને ચોક્કસ માત્રામાં ધક્કો આપવામાં આવે તો તે તેની દિશા બદલી શકે છે અને પૃથ્વી અને ચંદ્ર બન્ને પર જે રિસ્ક છે એ દૂર થઈ શકે છે. જોકે આ લઘુગ્રહની પહોળાઈને જોઈને એ શક્ય નથી. જો એને વળાંક આપવા ગયા અને એ નિષ્ફળ રહ્યું તો પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ ખતરનાક થઈ શકે છે.
| ||
વિનાશ કરવો : નાસા દ્વારા હવે એનો વિનાશ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે 100-કિલોટનનો ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરવામાં આવી શકે છે. હિરોશિમા અને નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એના કરતાં 5-8 ગણો આ બોમ્બ વધુ શક્તિશાળી હશે. આ માટે બે બોમ્બને સાથે રાખવામાં આવશે. પહેલો બોમ્બ પ્રાઇમરી સ્ટ્રાઇક કરશે અને બીજો બોમ્બ બેકઅપ તરીકે રાખવામાં આવશે. જોકે આ માટે એક-મેગાટન ન્યુક્લિયર ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. જો એનો ઉપયોગ કરવામાં આવ્યો તો એક જ હુમલામાં આ લઘુગ્રહનું રિસ્ક દૂર થઈ જશે. જોકે એમાં પણ એક રિસ્ક રહેલું છે. માનવજાત દ્વારા આજ સુધી સ્પેસમાં લઘુગ્રહ માટે ક્યારેય ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જોકે 1960ના દાયકામાં હાઇ-એલ્ટિટ્યુડ ન્યુક્લિયર ટેસ્ટ જરૂર કરવામાં આવી હતી, પરંતુ એમ છતાં સ્પેસમાં શું પરિણામ આવે છે એની કોઈને જાણ નથી.
આ કેમ જરૂરી છે?
સેટેલાઇટ્સને પ્રોટેક્ટ કરવા, સ્પેસ સ્ટેશનને બચાવવા અને લુનાર મિશનની સફળતા માટે આ મિશન ખૂબ જ જરૂરી છે. જો ડેબ્રિસ સ્પેસમાં રહ્યું તો આ તમામને ખૂબ જ મોટું રિસ્ક છે. આથી લઘુગ્રહનો વિનાશ કરવો જરૂરી છે. આ દુનિયાનો પહેલો સ્પેસમાં ન્યુક્લિયર ડિફેન્સ મિશન હશે. આથી સ્પેસમાં કુદરતી ઘટનાઓ સામે મનુષ્ય શું પગલું ભરી શકે છે એનું એક ઉદાહરણ પણ પૂરું પાડશે. આ માટે દુનિયાના મોટાભાગના તમામ દેશોની સહમતી જરૂરી છે. સ્પેસમાં ન્યુક્લિયર બોમ્બ ફોડવાથી જો કોઈ રિસ્ક થાય અથવા તો એની કોઈ પ્રતિક્રિયા આવે તો એ માટે પૃથ્વીએ ભોગવવું પડે છે. આથી એ માટે દરેક દેશની સહમતી જરૂરી છે.
ફિલ્મની સ્ટોરી બનશે વાસ્તવિકતા?
1998માં હોલીવુડમાં એક ફિલ્મ આવી હતી જેનું નામ ‘અર્માગેડ્ડોન’ હતું. આ ફિલ્મમાં પૃથ્વી સાથે લઘુગ્રહ અથડાય એનું રિસ્ક હતું. આથી અંતરિક્ષયાત્રીઓ દ્વારા એ લઘુગ્રહનો બોમ્બ દ્વારા વિનાશ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જોકે ફિલ્મમાં મનુષ્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લઘુગ્રહમાં ડ્રિલિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નાસા દ્વારા એવું કંઈ કરવાનો પ્લાનિંગ નથી. એમાં રોબોટિક સ્પેસક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ન્યુક્લિયર બોમ્બ હશે અને એનો સીધો લઘુગ્રહ પર સામેથી જ અટેક કરવામાં આવશે.
2024 YR4 પર સતત નજર
રિસર્ચર્સ દ્વારા 2024 YR4 પર સતત નજર રાખવામાં આવી રહી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લઘુગ્રહના માર્ગને સતત ટ્રેક કરવામાં આવી રહ્યો છે. આગામી વર્ષમાં આ રિસર્ચના ડેટા દ્વારા શું કહેવામાં આવે અને પૃથ્વી અને ચંદ્રને કેટલું નુકસાન છે એના આધારે ન્યુક્લિયરનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં એ નક્કી કરવામાં આવશે.