Get The App

41 વર્ષ પછી કોઈ ભારતીય જશે અવકાશમાં, મિશન Ax-4 હેઠળ શુભાંશુ શુક્લા 11 જૂને સ્પેસ સ્ટેશન પહોંચશે

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
41 વર્ષ પછી કોઈ ભારતીય જશે અવકાશમાં, મિશન Ax-4 હેઠળ શુભાંશુ શુક્લા 11 જૂને સ્પેસ સ્ટેશન પહોંચશે 1 - image


ભારતના અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ડ્રેગન અવકાશયાનમાં અન્ય ત્રણ અવકાશયાત્રીઓ સાથે સવાર થઈને તેઓ 11 જૂન, 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે જોડાશે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  

મિશનની તારીખ કયા કારણસર બદલવી પડી? 

અગાઉ આ મિશન 8 જૂને શરૂ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાન અને અવકાશયાનની અંતિમ તૈયારીઓને કારણે તેને 10 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે લોન્ચ 10 જૂને થશે. 11 જૂને બપોરે 12:30 વાગ્યે અવકાશયાનનું ISS સાથે જોડાણ થશે.

મિશન દરમિયાન શું કરવામાં આવશે?

Ax-4 મિશન Axiom Space નામની પ્રાઈવેટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાસા અને SpaceX દ્વારા સાથે મળીને હાથ ધરવામાં આવેલા આ મિશન દરમિયાન Ax-4ની ટીમ 14 દિવસ સુધી ISS પર વિવિધ પ્રકારના સંશોધન કરશે. આ મિશન સ્પેસએક્સનું 53મું ડ્રેગન મિશન છે. અમેરિકા ઉપરાંત આ મિશન સાથે ભારત, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો સંકળાયેલા છે. 

કયા દેશના અવકાશયાત્રી કઈ જવાબદારી નિભાવશે?

મિશન દરમિયાન અમેરિકન ‘પેગી વ્હિટ્સન’ મિશન કમાંડર, પોલિશ ‘સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી’ સ્પેશ્યાલિસ્ટ એન્જિનિયર, હંગેરિયન ‘ટિબોર કપુ’ મિકેનિકલ એન્જિનિયર અને ભારતીય ‘શુભાંશુ શુક્લા’ પાયલટ તરીકેની સેવા આપશે. ભારતના ‘પ્રશાંત બાળકૃષ્ણન નાયર’ બેકઅપ પાયલટ તરીકે અને હંગેરીના ‘ગ્યુલા સેરેની’ બેકઅપ અવકાશયાત્રી તરીકે મિશનમાં સામેલ કરાયાં છે.


Ax-4 મિશનમાં ભારતનો સહયોગ કેવો અને કેટલો? 

Ax-4 મિશનમાં ભારતે 548 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એમાં શુભાંશુ શુક્લા અને તેમના બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયરની પ્રક્ષેપણ તેમજ તાલીમના ખર્ચનો સમાવેશ થાય છે. શુભાંશુને સ્પેસએક્સ અને એક્સિઓમ સ્પેસ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી છે.

ISS પર કેવા પ્રયોગો કરવામાં આવશે?

ISS પર પહોંચ્યા પછી ઘણાબધા પ્રયોગો કરવામાં આવશે. એમાંના 7 પ્રયોગો એવા હશે જે ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. એમાંના મોટાભાગના જૈવિક પ્રયોગો હશે, જેમ કે અવકાશમાં માનવ શરીર અને છોડના બીજ પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસર કેવી થતી હોય છે. અવકાશમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન અંગે પણ રિસર્ચ કરાશે. નાસાના સહયોગમાં માનવ સંશોધન સંબંધિત અન્ય પ્રયોગો પણ કરવામાં આવશે.

નવું નક્કોર છે ડ્રેગન અવકાશયાન 

Ax-4 મિશન માટે ઉપયોગમાં લેવાઈ રહેલું ડ્રેગન અવકાશયાન સંપૂર્ણપણે નવું છે. તેની અનેક વિશેષતાઓ પૈકીની બે વિશેષતા એ છે કે તે રિયુઝેબલ છે, એટલે કે વારંવાર અવકાશયાત્રા માટે વાપરી શકાય એવું છે, અને તે એકીસાથે ‘ક્રૂ એન્ડ કાર્ગો’ એટલે કે અવકાશયાત્રીઓ અને એમના ભેગો માલસામાન લઈ જવાની સગવડ પણ આપે છે. આ અવકાશયાનને હજુ સુધી કોઈ નામ નથી આપવામાં આવ્યું, પણ એના ક્રૂ દ્વારા જલ્દી જ એને એક નામ આપવામાં આવશે. 

આ પણ વાંચો: મસ્ક-ટ્રમ્પની લડાઈ વચ્ચે Xને ફાયદો: એપ્લિકેશન ડાઉનલોડ અને એક્ટિવ યુઝર્સમાં વધારો

ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના અણબનાવથી મિશન પ્રભાવિત થશે તો? 

સ્પેસએક્સના સ્થાપક ઈલોન મસ્ક અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી અગાઉ જેવી નથી રહી. તેથી તેમની વચ્ચેના અણબનાવની પ્રતિકૂળ અસર મિશન Ax-4 પર તો નહીં થાય ને, એવી ચર્ચા ચાલી રહી છે. આ બાબતે નાસા અને એક્સિઓમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મિશનને કોઈપણ પ્રકારની નકારાત્મક અસર નહીં થાય. યોજના સમયરેખા મુજબ જ આગળ વધશે. 

ભારત માટે ગૌરવશાળી ક્ષણ

આજથી 41 વર્ષ અગાઉ ભારતના રાકેશ શર્માએ અવકાશમાં જનારા પહેલા ભારતીય બનવાની સિદ્ધિ મેળવી હતી, એ પછી શુભાંશુ શુક્લા બીજા ભારતીય છે જે અવકાશગમન કરી રહ્યા છે. ભારતના અવકાશ કાર્યક્રમમાં આ મોટી ઉપલબ્ધિ છે. ભારતને અવકાશમાં નવી ઊંચાઈઓ પર લઈ જનારા આ મિશન પર પ્રત્યેક ભારતીયની નજર રહેશે.

આ પણ વાંચો: પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક: વિજ્ઞાનીઓએ વિકસાવ્યું નવું પ્લાસ્ટિક, કલાકોની અંદર દરિયામાં ઓગળી જશે

Tags :