For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'રજવાડાંને ફરી સત્તા સોંપાય તો હાલની સ્થિતિ કરતાં ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું'

Updated: Apr 30th, 2024

'રજવાડાંને ફરી સત્તા સોંપાય તો હાલની સ્થિતિ કરતાં ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું'

- હાલ રજવાડાઓની ચર્ચા વધતાં ભાવનગર સ્ટેટના યુવરાજે પ્રતિક્રિયા આપી 

- પાટણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કર્યા,  પ્રથમ વખત રાહુલ ગાંધીને સાચી સલાહ મળી : યુવરાજ 

ભાવનગર : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડા અંગે કરેલાં નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા બાદં આજે તેમણે પાટણમાં સભા દરમિયાન ભાવનગરના મહારાજાને યાદ કરી વિવાદને શાંત પાડવા કરેલાં પ્રયાસને ભાવનગરના યુવરાજે આવકાર્યો હતો. સાથે તેમણે છેલ્લા કેટલાક સમયથી રાજવીઓ અંગે થતી નિવેદનબાજી અંગે પણ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રજવાડાંઓને ફરી સત્તા સોંપી દેવામાં આવે તો હાલની સ્થિતિ કરતાં અમે ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું. 

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગત રવિવારે રાજા રજવાડા લોકોની જમીનો લઈ લેતા હોવાનું વિવાદીત નિવેદન કરતાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે આક્રમક પ્રતિક્રિયા આપી હતી.જો કે, આજે પાટણમાં યોજાયેલી સભામાં રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી પોતાના નિવેદનથી સર્જાયેલાં વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ આજે યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગતરોજ કરેલાં નિવેદન અંગે મેં ખોડીયાર માતાજીને પ્રાર્થના કરી હતી. જે પ્રાર્થના આજે ફળી છે. જયારે,રાહુલ ગાંધીએ આજે આપેલાં આ નિવેદન અંગે સલાહ આપનાર કોંગ્રેસના સલાહકારોનો યુવરાજે આભાાર માન્યો હતો અને પ્રથમ વખત રાહુલ ગાંધીને સાચી સલાહ મળી હોવાનું જણાવ્યું હતું. તો, તેમણે આ નિવેદનબાજીના રાજકારણના બદલે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ભાવનગરના વિકાસની વાતોને લઈ પ્રજા વચ્ચે જવું જોઈએ અને આગામી પાંચ વર્ષથી લઈ પચાસ વર્ષનું ભાવિ આયોજન, દૂરંદેશીતાના મુસદા રજૂ કરવા જોઈએ. તેમ અંતમાં જણાવ્યું હતું. 

બન્ને ઉમેદવારને 5 નવા ઉદ્યોગ લાવી આપવા યુવરાજે ચેલેન્જ આપી

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું કે, ચૂંટણીમાં પ્રજાહિતના એજન્ડાને કેન્દ્રસ્થાને રાખવામાં આવે તે ભાવનગરના હિતમાં છે. તેમણે બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોને યુવાનોને રોજગારી આપતાં પાંચ નવા ઉદ્યોગ ભાવનગરમાં લાવી આપવા ચેલેન્જ આપી હતી. 

આપના ઉમેદવારે રજવાડાં અંગે કરેલાં નિવેદનને ખાનગી ચેનલે તોડી મરોડી રજૂ કર્યાનો દાવો 

ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ આજે સવારે એક ખાનગી ચેનલને આપેલાં ઈન્ટવ્યુમાં રજવાડા અને રાજવીઓ અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. જે નિવેદન તે ચેનલ સહિત તેની વીલ્યો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે તેમણે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી. અને તેમના રજવાડા અંગેના નિવેદનને તોડી મરોડીને ખોડી રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. સાથે તેમણે આ મામલે કાનૂનૂ સલાહના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચરી હતી. 

Gujarat