Gujarat

વલ્લભીપુરનો વિધર્મી શખ્સ હિન્દુ યુવતીને ભગાડી ગયો

By GS Team
23 Nov 20222 mins read
This article was originally published on 23 Nov 2022
વલ્લભીપુરનો વિધર્મી શખ્સ હિન્દુ યુવતીને ભગાડી ગયો

- લવજેહાદના કિસ્સાથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ 

- પરિણીત વિધર્મી શખ્સ 3 વર્ષથી યુવતીની પાછળ પડયો હતો, શખ્સના ત્રાસથી પરિવારે ગામ મુકી સુરત સ્થાયી થવું પડયું : યુવતીને પરત નહીં લવાઈ તો આંદોલનની ચિમકી

વલ્લભીપુર : વલ્લભીપુરમાં રહેતા એક વિધર્મી શખ્સે લવજેહાદ કરી હિન્દુ યુવતીને ભગાડી જતાં બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે આવેદન પાઠવી યુવતીને પરત અપાવવાની માંગણી કરાઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર વલ્લભીપુરમાં રહેતો જાફરશા દિલાવરશા ખોખર નામનો વિધર્મી શખ્સ એક બ્રહ્માણ યુવતીને પ્રથમ પ્રેમજાળમાં ફસાવી તેણીને ગત તા.૧૮-૧૧ના રોજ ધર્મપરિવર્તનના ઈરાદે લગ્નની લાલચ આપી સુરત ખાતેથી ભગાડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં યુવતીના પિતાએ સુરત પોલીસનો સંપર્ક સાધી સઘળી હકીકત આપી હતી. મુળ વલ્લભીપુરના બ્રાહ્મણ પરિવારની દીકરીને આ શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી હેરાન-પરેશાન કરી પ્રેમજાળમાં ફસાવા પાછળ પડી ગયો હતો. શખ્સના ત્રાસથી બ્રહ્મ પરિવારને પોતાનું વતન વલ્લભીપુર મુકી સુરત સ્થાયી થવું પડયું હોવાની કેફિયત અપાઈ છે. વધુમાં લવજેહાદના કિસ્સાને લઈ બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ મામલે વલ્લભીપુરમાં બ્રહ્મ સમાજ દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર એસપી, નાયબ કલેક્ટરને સબંધતું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે. જેમાં હિન્દુ દીકરીને ભગાડી જનાર વિધર્મી શખ્સ પરિણીત અને બે સંતાનનો બાપ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે અને દિલ્હીમાં બનેલા શ્રધ્ધાના મર્ડર કેસ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તે પહેલા યુવતીની શોધખોળ કરી વિધર્મીની જાળમાંથી મુક્ત કરાવવા માંગણી કરવામાં આવી છે. જો લવજેહાદના ગંભીર બનાવ મામલે ઝડપી કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.