સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના ઇજેક્શનની ફાળવણી માટે સમિતિ રચાઈ
- જિલ્લામાં કોરોના બાદ ફંગસનો ભરડો
- બે ફિઝિશયન એક્સપર્ટ, ઇએનટી, જિલ્લા એપેડેમિક અધિકારીનો કમિટીમાં સમાવેશ : જિલ્લામાં 43 કેસ
Updated: May 27th, 2021
અમદાવાદ, તા.26
સાબરકાંઠા જિલ્લામાં મ્યુકર માઈકોસિસના કેસોમા વધારો થતાં આજદિન
સુધીમાં આ રોગનો આંકડો વધીને આ જિલ્લામાં ૪૩ સુધી પહોંચી ગયો છે. જેમાં ૪૧ કેસ સાબરકાંઠા
જિલ્લાના જ છે અને અન્ય બે સારવાર હેઠળ છે તેમાં એક અરવલ્લીના ભિલોડા તાલુકાનો અને
એક મહેસાણા જિલ્લામાંથી આવે છે. ઇજેક્શનની ફાળવણી માટે સમિતિ રચાઈ છે.
હાલ સમગ્ર રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના રોગના કેસોમાં
દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ છે. જેમાં કોરોનાની સારવાર દરમ્યાન અને બાદમાં જોવા
મળતું એક ફંગ્લસ ઇન્ફેક્શન છે. આ ઉપરાંત સ્વસ્થ લોકોમાં પણ આ પ્રકારના લક્ષણો
ધ્યાને આવી રહ્યા છે. કોરોનાના દર્દીઓમાં ડાયાબીટીસ, એચઆઈવી ઇન્ફેક્શન
હોય કે જેઓને લાંબા સમયથી સ્ટીરોઈડ આપવામાં આવ્યા હોય તેમને ચેપ લાગવાની સંભાવનાઓ
વધુ રહે છે. આવા દર્દીઓને સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે. જેની
ઉપલબ્ધતા બજારમાં ઓછી છે. જેને લઈ દર્દીઓને સારવારમાં તકલીફનો સામનો ન કરવો પડે તે
માટે તેમજ જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસની સારવાર લેતા દર્દીઓને
વ્યાજબી ભાવે ઇન્જેક્શન મળી રહે તે માટે જિલ્લાકક્ષાએ એક સમિતિનું પણ આજરોજ ગઠન
કરવામાં આવ્યું છે. ડો.અજય મુલાણીની અધ્યક્ષતમાં રચાયેલી આ કમિટીમાં બે ફિઝીશ્યન
એક્સપર્ટ, એક ઇએનટી એક્સપર્ટ તથા જિલ્લાના એપેડેમિક
અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન માંગણી
વખતે દર્દીના કેસની વિગત, મ્યુકરમાઈકોસિસના નિદાનની નકલ,
તબીબનો ભલામણ પત્ર તથા આધારકાર્ડની નકલનો ઇમેઇલ મોકલી આપવાનું
રહેશે. હાલ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આ રોગના દર્દીઓની સારવાર હાથ ધરાઈ
હોઈ એના વાજબી ભાવે ઇન્જેક્શન દર્દીઓને મળી રહે તેવા હેતુથી આ સમિતિની રચના
કરવામાં આવી છે.