આસામનું આ મંદિર વિશ્વમાં લૂપ્ત ગણાતા સોફટશેલ ટર્ટલ કાચબાનો ઉછેર કરે છે
૨૦૦૨માં કાચબાની પ્રજાતિને લૂપ્ત જાહેર કરવામાં આવી હતી
હયાગ્રિવા માધમ મંદિરનું તળાવ આ કાચબાઓ માટે સ્વર્ગ સાબીત થયું છે
Updated: Nov 30th, 2021
ગૌહાટી,30 સપ્ટેમ્બર,2021,મંગળવાર
કુદરતી રીતે રહેઠાણો ઓછા થવાથી તથા શિકાર ખૂબજ થતો હોવાથી કાચબાની અનેક પ્રજાતિ લૂપ્ત થતી જાય છે.જો કે આસામનું એક મંદિર કાચબાની વિલૂપ્ત થયેલી સોફટશેલ ટર્ટલ પ્રજાતિના કાચબાનું સુરક્ષિત સ્થળ બની ગયું છે. વર્ષો સુધી લૂપ્ત થયેલા કાચબાની આ પ્રજાતિને સાચવવાનો શ્રેય મંદિરના સંચાલકો અને પર્યાવરણપ્રેમીઓને જાય છે. પૂર્વોત્તર ભારતમાં અસમ રાજય એક સમયે મીઠા પાણીમાં રહેતા કાચબાઓનું મહત્વનું સ્થાન ગણાતું હતું.
અસમમાં કારબાનું માંસ ખૂબજ લોકપ્રિય થવાથી કાચબાઓની સંખ્યા ઘટતી જાય છે એમાં પણ સોફટશૈલ ટર્ટલ કાચબા તો માત્ર મંદિર સિવાય બીજે કયાંય જોવા મળતા નથી. નવાઇની વાત તો એ છે કે ૨૦૦૨માં ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કંજર્વેશન ઓફ નેચર (આઇયૂસીએન) કાળા કાચબાઓને લૂપ્ત થયેલા જાહેર કર્યા હતા જયારે ભારતીય સોફટશેલ અને ભારતીય પીકોક કાચબાને વિલૂપ્ત જાહેર કર્યા હતા.
જો કે અસમના હજો તીર્થધામમાં આવેલા હયાગ્રિવા માધમ મંદિરનું તળાવ આ કાચબાઓ માટે સ્વર્ગ સાબીત થયું છે. આ મંદિરમાં કાચબાઓને અત્યંત પવિત્ર ગણીને તેનું ભકતો દ્વારા સંરક્ષણ કરવામાં આવે છે. લોકો આ કાચબાઓને ભગવાન વિષ્ણુનો અવતાર માનીને આદર સન્માન કરે છે. આથી આ મંદિરના તળાવમાં ૨૦૦થી વધારે કાચબાઓ છે. જયારથી આ લૂપ્ત થઇ ગયેલી પ્રજાતિના કાચબાઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે ત્યારથી તેનું બ્રિડિંગ સારી રીતે થાય તે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કાચબાઓના ઇંડાનું સારી રીતે જતન થાય તે માટે ખાસ પ્રકારના ઇન્કયૂબેટરમાં રાખવામાં આવે છે.
કાચબાઓના બ્રિડિંગમાં સફળતા મળ્યા પછી અન્ય તળાવોમાં પણ તેનો પ્રયોગ કરવાનું આયોજન છે. ગત જાન્યુઆરી માસમાં આ મંદિરના સંચાલકોએ તળાવમાં ઉછરેલા ૩૬ કાચબાઓની જોડને વન્ય જીવ અભ્યારણ્યને આપવામાં આવ્યા હતા જેમાં ૧૬ બ્લેક સોફટશેલ કાચબાઓ પણ હતા. પર્યાવરણપ્રેમીઓ આ મંદિરમાં દર્શન કરવા ઉપરાંત કાચબાઓનો સારી રીતે ઉછેર થાય તે માટે મુલાકાતે આવે છે. જો કે મંદિરમાં આવતા કેટલાક લોકો કાચબાઓને બ્રેડ અને અન્ય પ્રકારના ખાધ પદાર્થો નાખે છે. આથી તે કુદરતી રીતે ખોેરાક શોધવાની પ્રકૃતિ બદલાઇ રહી છે.