લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઇમલાઇન માંગી

Supreme Court On Women Reservation Bill : લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’(મહિલા અનામત કાયદો)ના અમલને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારને પૂછ્યું છે કે, આ કાયદો લાગુ કરવા માટેની સમયરેખા શું છે ? કોર્ટે એમ પણ હ્યું છએ કે, સંસદ દ્વારા કાયદો પસાર થઈ ગયો હોવા છતાં તેને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે?
કોંગ્રેસ નેતાએ અરજી કરી
વાસ્તવમાં કોંગ્રેસ નેતા જયા ઠાકુરે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં માંગ કરાઈ છે કે, મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે. અરજીમાં કહેવાયું છે કે, કાયદામાં રાખવામાં આવેલી ‘પરિસીમન પછી લાગુ કરવાની’ શરતને દૂર કરવામાં આવે અને અનામત તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.
મહિલા અનામત કાયદો લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે?
સુનાવણી દરમિયાન વરિષ્ઠ અધિવક્તા શોભા ગુપ્તાએ કહ્યું કે, ‘જ્યારે આ કાયદો નારી શક્તિ વંદન અધિનિયમના નામથી પસાર થયો છે, તો તેને લાગુ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? આ દુઃખદ છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ આપણે સંસદમાં પ્રતિનિધિત્વ માટે અનામત માંગવું પડી રહ્યું છે. જો એસસી-એસટી માટે વસતી ગણતરી કે પરિસીમન વગર અનામત લાગુ કરી શકાય છે, તો મહિલાઓ માટે અનામત કેમ લાગુ કરી શકાયો નથી? સંસદે મહિલા અનામનો કાયદો વિશેષ સત્રમાં પસાર કર્યો હતો, જે દર્શાવે છે કે સરકાર પાસે જરૂરી ડેટા પહેલેથી જ ઉપલબ્ધ હતો.’
આ પણ વાંચો : 'બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના...' તેજસ્વીનો ગંભીર આરોપ
સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
જસ્ટિસ જે. નાગરત્નાએ કહ્યું કે, મહિલાઓ દેશની સૌથી મોટી લઘુમતી છે. તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરિસીમનની પ્રક્રિયા ક્યારે શરુ થશે? કાયદો લાગુ કરવો એ સરકાર અને કાર્યપાલિકાની જવાબદારી છે, પરંતુ અદાલત ચોક્કસ પૂછી શકે છે કે, તેને લાગુ કરવાની ટાઇમલાઇન શું છે? છેવટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને નિર્દેશ આપ્યો છે કે, કેન્દ્ર સરકાર સ્પષ્ટ કરે કે, વસ્તી ગણતરી અને પરિસીમનની પ્રક્રિયા ક્યારે શરુ થશે અને મહિલા અનામત ક્યારે લાગુ કરવામાં આવશે?

