ભાજપની સરકાર બનશે તો મુસ્લિમ ધારાસભ્યોને વિધાનસભામાંથી ફેંકી દઈશું: સુવેન્દુના નિવેદન પર હોબાળો
Suvendu Adhikari Controversial Statement: પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે. જેને લઈને તમામ પાર્ટીઓએ અત્યારથી જ પોતાની તૈયારી શરુ કરી દીધી છે. આ દરમિયાન બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારી દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, 'ભાજપની સરકાર બનતાં તમામ મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહમાંથી બહાર ફેંકી દઈશું.' સુવેન્દુના આ નિવેદન બાદ ટીએમસીએ તેની આકરી ટીકા કરી છે.
આ પણ વાંચોઃ સંભલની જામા મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષને રાહત, શરતો હેઠળ રંગરોગાનની હાઈકોર્ટની મંજૂરી
સુવેન્દુ અધિકારીની વિવાદિત ટિપ્પણી
પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુવેન્દુ અધિકારીને 17 ફેબ્રુઆરીએ વિધાનસભામાંથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને સંપૂર્ણ બજેટ સત્રમાંથી જ નિષ્કાષિત કરી દેવાયા હતા. વિધાનસભાની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ગૃહમાં વારંવાર ભાજપના ધારાસભ્યોના માઇક બંધ કરી દેવામાં આવે છે. એકવાર રાજ્યમાં ભાજપની સરકાર આવી જવા દો અમે ટીએમસીના બધા મુસ્લિમ ધારાસભ્યોને ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું. આ સિવાય તેમણે મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર કોમી રાજનીતિ કરે છે અને તે મુસ્લિમ લીગનું જ બીજું રૂપ છે.
આ પણ વાંચોઃ ટ્રેન હાઈજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો
ભાજપે સાધ્યું મૌન
સુવેન્દુ અધિકારીના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. સુવેન્દુના આ નિવેદન બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી આ ટિપ્પણીને નફરતી જણાવ્યું છે. આ સિવાય ટીએમસીએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ પ્રશ્ન ઊભા કર્યા હતાં. નોંધનીય છે કે, ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.